ચીનમાં ભારે વરસાદથી તબાહી, 34નાં મોત, 80 હજારનું સ્થળાંતર
ચીનની રાજધાની બેઇજિંગના ઉત્તરીય બહારના વિસ્તારમાં કેટલાક દિવસોથી ભારે વરસાદના કારણે 34 લોકોનાં મોત થયા છે. ચીની મીડિયા અનુસાર, રાજધાનીમાં 80,000થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. ડઝનબંધ રસ્તાઓને નુકસાન થયું છે અને 136 ગામોમાં વીજળી ગુલ થઈ ગઈ છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે અધિકારીઓને ગુમ થયેલા લોકોને શોધવા અને જાનહાનિની સંખ્યા ઘટાડવા માટે તમામ પ્રયાસો કરવા સૂચના આપી છે.
સરકારી પ્રસારણકર્તા સીસીટીવીએ મંગળવારે જણાવ્યું હતું કે મધ્યરાત્રિ સુધીમાં બેઇજિંગના સૌથી વધુ અસરગ્રસ્ત મિયુન જિલ્લામાં 28 અને યાનકિંગમાં બે લોકોનાં મોત થયા છે. ચીનની રાજધાનીમાં રાત્રે ભારે વરસાદ પડ્યો હતો. અહેવાલ મુજબ, સોમવારે ભારે વરસાદ અને પૂરમાં ચાર લોકોનાં મોત થયા છે, જ્યારે આઠ અન્ય હજુ પણ ગુમ છે. હેબેઈ પ્રાંતમાં ભૂસ્ખલનમાં પીડિતો ફસાયા હતા. આનાથી વાવાઝોડાથી મરનારનો મૃત્યુઆંક ઓછામાં ઓછો 34 થયો છે.
બેઇજિંગના દૂરના જિલ્લાઓ અને પાડોશી શહેર તિયાનજિનમાંથી 40,000 થી વધુ લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા હતા. અધિકારીઓએ બેઇજિંગના ગ્રામીણ મિયુન જિલ્લામાં એક જળાશયમાંથી પાણી છોડ્યું હતું, જે 1959માં તેના નિર્માણ પછીના ઉચ્ચતમ સ્તર પર હતું. અધિકારીઓએ લોકોને નદીઓના નીચાણવાળા વિસ્તારોથી દૂર રહેવાની ચેતવણી આપી હતી કારણ કે તેનું પાણીનું સ્તર વધી રહ્યું હતું અને ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.