નાઇજીરિયામાં જૂથ અથડામણ: 160નાં મોત, 300થી વધુ ઘાયલ
મધ્ય નાઈજીરિયામાં સશસ્ત્ર જૂથોના હુમલામાં 160 લોકો માર્યા ગયા હતા. આ હુમલો શનિવાર અને રવિવારે થયો હતો. મધ્ય નાઇજીરિયાના પ્લૈટોમાં હિંસક અથડામણ થઇ હતી. નાઈજીરિયાનો આ વિસ્તાર ધાર્મિક અને વંશીય તણાવથી ઘેરાયેલો છે. અહીં અવારનવાર ખેડૂતો અને પશુપાલકો વચ્ચે ઘર્ષણના બનાવો બન્યા છે. અગાઉ મે મહિનામાં પણ અહીં હિંસાની ઘટનાઓમાં 100થી વધુ લોકોના મોત થયા હતા.
આ પહેલા નાઈજીરિયન આર્મીના હવાલાથી મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું હતું કે હુમલામાં 16 લોકોના મોત થયા છે. પરંતુ બાદમાં 160 લોકોના મોતની પુષ્ટી કરવામાં આવી હતી. પ્લૈટો રાજ્યના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે શનિવાર અને રવિવારના રોજ હુમલાઓમાં 113 લોકો માર્યા ગયા હતા. અહીં ડાકુઓના એક જૂથે ઓછામાં ઓછા 20 સમુદાયો પર હુમલો કર્યો હતો. જેમાં 113 લોકોના મોત થયા છે જ્યારે 300થી વધુ લોકો ઘાયલ થયા છે. આ હુમલા પાછળ કોણ જવાબદાર છે તે અંગે અધિકારીઓ તરફથી કોઈ સંકેત આપવામાં આવ્યો નથી.