For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પાકિસ્તાન સાથે મંત્રણા કરવાની ફારૂક અબ્દુલ્લાની સલાહ હાસ્યાસ્પદ

12:48 PM Dec 28, 2023 IST | Bhumika
પાકિસ્તાન સાથે મંત્રણા કરવાની ફારૂક અબ્દુલ્લાની સલાહ હાસ્યાસ્પદ

ભારતમાં કેટલાક નમૂના એવા છે કે જે ખાય છે તો ભારતનું પણ ભારતનું ખોદવામાં કોઈ કસર રાખતા નથી. એ લોકો મોં ખોલે ત્યારે મોટા ભાગે કંઈક ને કંઈક અવળવાણી જ નીકળતી હોય છે. જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને નેશનલ કોન્ફરન્સના પ્રમુખ ફારૂૂક અબ્દુલ્લા આવા નમૂનાઓમાંથી એક છે. ફારુક અબ્દુલ્લાએ મોટું કાશ્મીર મુદ્દે ફરી ભારત-પાકિસ્તાન મંત્રણાની તરફેણ કરીને કહ્યું છે કે. ભારત અને પાકિસ્તાન વચ્ચે કાશ્મીર મુદ્દે વાતચીત નહીં થાય અને કોઈ ઉકેલ નહીં શોધાય તો આપણી દશા પણ ગાઝા અને પેલેસ્ટાઈન જેવી થઈ જશે.

Advertisement

ગાઝા અને પેલેસ્ટાઈન પર ઇઝરાયલ દ્વારા બોમ્બમારો થઈ રહ્યો છે એ રીતે પાકિસ્તાન પણ ભવિષ્યમાં કાશ્મીર પર બોમ્બમારો કરતું હશે એવું આડકતરી રીતે ફારૂૂક અબ્દુલ્લાએ કહી દીધું છે. અબ્દુલ્લા નાટકબાજીમાં પાવરધા છે તેથી એવું પણ કહી દીધું કે, મને કહેતા દુ:ખ થાય છે કે આપણે પણ ગાઝા અને પેલેસ્ટાઈન જેવા જ ભવિષ્ય તરફ ધકેલાઈ જઈશું. આજે ઇઝરાયલ દ્વારા બોમ્બમારો થઈ રહ્યો છે એ રીતે કાશ્મીરમાં પણ કંઈપણ થઈ શકે છે, ફક્ત અલ્લાહ જ જાણે છે કે આપણું શું થશે, અલ્લાહ અમારા પર દયા કરો.

ફારૂૂક અબ્દુલ્લાએ આ જ્ઞાનની સરવાણી ગયા સપ્તાહે પૂંછમાં થયેલા આતંકવાદી હુમલાના સંદર્ભમાં વહાવી છે. 21 ડિસેમ્બરે સાંજે લગભગ પાંચ વાગ્યે રાજૌરી-પૂંચ સેક્ટરના સુરનકોટ વિસ્તારમાં આતંકવાદીઓએ ભારતીય લશ્કરનાં બે વાહન પર હુમલો કરતાં ચાર જવાન શહીદ થયા હતા અને ત્રણ ઘાયલ થયા હતા. ભારતીય લશ્કરનાં વાહનો આતંકવાદીઓના સફાયો કરવા માટેના ઓપરેશન માટે જઈ રહ્યાં હતાં ત્યારે થયેલા હુમલામાં ત્રણ નાગરિકે પણ જીવ ગુમાવ્યા છે.
ફારૂૂકે ભારત અને પાકિસ્તાન વચ્ચે મંત્રણાની તરફેણ કરી છે પણ સવાલ એ છે કે, મંત્રણાથી દૂર કોણ ભાગી રહ્યું છે? ભારતે તો વારંવાર પાકિસ્તાન સામે દોસ્તીનો હાથ લંબાવ્યો છે પણ પાકિસ્તાન જ પોતાની હરકતોથી દોસ્તીના હાથને ઝાટકી નાંખે છે. વાજપેયીજીએ પાકિસ્તાન સાથે દોસ્તીનો હાથ લંબાવેલો ને બસ ભરીને પાકિસ્તાન ગયેલા. પાકિસ્તાને તેનો બદલો કારગિલમાં હુમલો કરીને આપ્યો. નરેન્દ્ર મોદી પોતે 2015માં સામે ચાલીને નવાઝ શરીફને મળવા માટે પાકિસ્તાન ગયેલા. વગર નિમંત્રણે મોદી પાકિસ્તાન ગયેલા ને સામેથી દોસ્તીની પહેલ કરેલી. પાકિસ્તાને તેના બદલામાં ઉરી અને પઠાણકોટમાં હુમલા કર્યા. પાકિસ્તાનની આ હરકતો પછી પણ આપણે વાતચીતની પિપૂડી વગાડ્યા કરીએ તો એ નામર્દાનગી કહેવાય. ભારતે એવા નામર્દ બનવાની જરાય જરૂૂર નથી.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement