તુર્કીમાં ભુકંપથી ડઝનથી વધુ ઇમારતો ધરાશાયી, એકનું મોત
રવિવારે સાંજે તુર્કીના ઉત્તરપશ્ચિમ પ્રાંત બાલિકેસિરમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.1 માપવામાં આવી હતી. ભૂકંપને કારણે એક ડઝનથી વધુ ઇમારતો ધરાશાયી થઈ હતી.
ઓછામાં ઓછા એક વ્યક્તિનું મોત થયું હતું અને 30 લોકો ઘાયલ થયા હતા. ભૂકંપનું કેન્દ્ર સિંદિરગી શહેર હતું, પરંતુ 16 મિલિયનથી વધુ વસ્તી ધરાવતા તુર્કીના સૌથી મોટા શહેર ઇસ્તંબુલ સુધી ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
તુર્કીના મંત્રી અલી યેરલિકાયાએ કહ્યું છે કે સિંદિરગીમાં ધરાશાયી થયેલી ઇમારતના કાટમાળમાંથી જીવતી બહાર કાઢવામાં આવ્યા બાદ એક વૃદ્ધ મહિલાનું મૃત્યુ થયું હતું. અન્ય ચાર લોકોને ઇમારતમાંથી બચાવી લેવામાં આવ્યા હતા.
મંત્રી અલીએ કહ્યું કે ઘાયલોમાંથી કોઈની હાલત ગંભીર નથી. તેમણે કહ્યું કે આ વિસ્તારમાં કુલ 16 ઇમારતો ધરાશાયી થઈ હતી. આમાંથી મોટાભાગની ઇમારતો ખૂબ જ જૂની અને બિનઉપયોગી હતી. ભૂકંપને કારણે બે મસ્જિદોના મિનારા પણ ધરાશાયી થયા હતા.