દિલ્હી બ્લાસ્ટનું તુર્કી કનેકશન, જૈશનો હેન્ડલર હાથવેંતમાં
ડો.ઉમર અને ડો.મુઝમ્મિલ ટેલીગ્રામ ગ્રુપમાં જોડાયા પછી તુર્કી ગયા હતા: ટ્રિપ આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના નેટવર્ક સાથે જોડાયેલી હોવાની શંકા
લાલ કિલ્લા પાસે થયેલા વિસ્ફોટની તપાસમાં હવે એક સંભવિત તુર્કી કનેક્શન બહાર આવ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ધરપકડ કરાયેલા ડોક્ટર મોડ્યુલના બે સભ્યો ડો. ઉમર અને ડો. મુઝમ્મિલના પાસપોર્ટ પરથી જાણવા મળ્યું છે કે તેઓ ટેલિગ્રામ ગ્રુપમાં જોડાયા પછી તરત જ તુર્કી ગયા હતા.
એજન્સીઓને શંકા છે કે આ ટ્રિપ આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના નેટવર્ક સાથે જોડાયેલી હોઈ શકે છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે તુર્કીથી પાછા ફર્યા પછી, બંને ડોક્ટરોએ દેશના વિવિધ ભાગોમાં સક્રિય થવાની યોજના બનાવી હતી. જૈશના એક હેન્ડલરએ તેમને મોડ્યુલના સભ્યોને દેશભરમાં ફેલાવવાની સૂચના આપી હતી જેથી એક જ સ્થાન કેન્દ્રમાં ન આવે. આ સૂચનાને અનુસરીને, તેઓએ ફરીદાબાદ, સહારનપુર અને અન્ય સ્થળો પસંદ કર્યા.
તપાસ એજન્સીઓને શંકા છે કે તુર્કીની યાત્રા દરમિયાન બંનેને ઓપરેશન સંબંધિત સૂચનાઓ મળી હતી. તે પણ તપાસનો એક ભાગ છે કે તેઓ ત્યાં કોઈ વિદેશી સંપર્કો સાથે મળ્યા હતા કે કોઈ તાલીમ શિબિરમાં હાજરી આપી હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર, તપાસ હવે એક મહત્વપૂર્ણ તબક્કે છે, અને એજન્સીઓ જૈશ હેન્ડલરને ઓળખવાની નજીક છે. કેસ સંબંધિત ડિજિટલ કોમ્યુનિકેશનની સંપૂર્ણ તપાસ કરવામાં આવી રહી છે.દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલ અને કેન્દ્રીય એજન્સીઓ લાલ કિલ્લા વિસ્તારમાંથી મોબાઇલ ટાવર ડેટા ડમ્પનું વિશ્ર્લેષણ કરી રહી છે. આ ડેટા 3:00 થી 6:30 વાગ્યા સુધીના સમયગાળાને આવરી લે છે. જ્યારે ડો. ઉમર કથિત રીતે તેમની આઇ-20 કારમાં ભાગી ગયા હતા. તેનો ઉદ્દેશ્ય એ નક્કી કરવાનો છે કે તેણે કોનો સંપર્ક કર્યો અને તે સમય દરમિયાન કયા કોલ્સ અને ચેટ્સ સક્રિય હતા.
મુખ્ય ભૂમિકા ભજવનારા અનસારીના ઘરેથી મોબાઇલ, ઉપકરણો જપ્ત
ઉત્તર પ્રદેશ આતંકવાદ વિરોધી ટુકડી (ATS) અને કેન્દ્રીય એજન્સીઓએ 10 નવેમ્બરના લાલ કિલ્લા વિસ્ફોટ પાછળના મોડ્યુલમાં મુખ્ય ભૂમિકા ભજવવાના આરોપમાં લખનૌ સ્થિત ડોક્ટર, ડો. પરવેઝ અંસારી (41) ની ધરપકડ કરી છે. તપાસથી પરિચિત ATSઅધિકારીઓએ જણાવ્યું હતું કે, અંસારી ડો. શાહીન શાહિદનો નાનો ભાઈ છે. નવેમ્બરની શરૂૂઆતમાં ફરીદાબાદમાં તે જ નેટવર્કમાં ભૂમિકા ભજવવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. લખનૌના એડીસીપી (ઉત્તર) અમોલ મુરકુટે જણાવ્યું હતું કે એટીએસ અને સ્થાનિક પોલીસ ટીમોએ સોમવાર રાત્રે અને મંગળવારે સવારે મડિયાઓં પોલીસ સ્ટેશન હેઠળના આઇઆઇએમ રોડ પર મુત્તકીપુરમાં અંસારીના ઘરની તપાસ કરી હતી. ઘરમાંથી અનેક મોબાઇલ ફોન, ઇલેક્ટ્રોનિક ઉપકરણો અને દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે, હરિયાણા અને જમ્મુ-કાશ્મીર પોલીસના ઇનપુટના આધારે આ શોધ કરવામાં આવી હતી.