ચીનનો લદાખ પર ફરી દાવો: ભારતનો નિર્ણય અમાન્ય
કલમ 370 અંગે સુપ્રીમકોર્ટના ચુકાદા બાદ પાકિસ્તાનની સાથે સાથે ચીનના પેટમાં પણ તેલ રેડાયું. ચીને ફરી લદાખ પર દાવો કર્યો છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા માઓ નિંગે કહ્યું કે ચીને ક્યારેય તથાકથિત કેન્દ્રશાસિત પ્રદેશ લદાખને માન્યતા આપી નથી. આ ભારત તરફથી એકતરફી અને ગેરકાયદે નિર્ણય છે. કલમ 370 અંગે સુપ્રીમકોર્ટના ચુકાદા અંગે માઓએ કહ્યું કે, ભારતની ઘરેલુ કોર્ટના નિર્ણયથી આ તથ્ય બદલાઈ નહીં જાય કે ચીન-ભારતના પશ્ચિમી વિસ્તાર પર ચીનનો અધિકાર છે.
અગાઉ મુસ્લિમ દેશોના સંગઠન OICએ પણ સુપ્રીમકોર્ટના ચુકાદા સામે વાંધો વ્યક્ત કર્યો હતો. પણ ભારત સરકારે આ સંગઠનના નિવેદનની આકરી ટીકા કરી હતી. પાકિસ્તાનનું નામ લીધા વિના જ વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું હતું કે ઓઆઈસી આ બધું આતંકને પ્રોત્સાહન આપનારા દેશના કહેવા પર કરી રહ્યું છે એટલા માટે ઓઆઈસીની કાર્યવાહી શંકાસ્પદ બની જાય છે.