'કેનેડા રમતનું મેદાન નથી..' આતંકી ગુરપતવંત સિંહ પન્નુએ કપિલ શર્માને આપી ધમકી
ખાલિસ્તાની સંગઠન શીખ ફોર જસ્ટિસ (SFJ)ના સ્થાપક ગુરપતવંત સિંહ પન્નુએ કોમેડિયન કપિલ શર્મા અને તેના કેપ્સ કાફેને ધમકી આપી છે. પન્નુએ એક વીડિયો સંદેશ જાહેર કરીને કહ્યું છે કે, "કેનેડા ખેલનું મેદાન નથી. તમારા મહેનતના પૈસા ભારતમાં પાછા લઈ જાઓ." આટલું જ નહીં તેણે કપિલ શર્માને 'હિન્દુત્વ રોકાણકાર' કહીને કેનેડા છોડી દેવાની ધમકી પણ આપી છે.
આતંકવાદી પન્નુએ પોતાના વીડિયોમાં કહ્યું, અમે કપિલ શર્મા અને અન્ય મોદી સમર્થક રોકાણકારોને સ્પષ્ટ સંદેશ આપીએ છીએ કે આ દેશ (કેનેડા) તમારી રમતનું મેદાન નથી. તમારા પૈસા લો અને ભારત પાછા જાઓ. કેનેડામાં વ્યવસાયની આડમાં હિન્દુત્વ વિચારધારાને ફેલાવવા દેવામાં આવશે નહીં.
પન્નુએ કહ્યું કે કેનેડા પોતાના દેશમાં આવી વિચારસરણીને વધવા દેશે નહીં. તેમણે એમ પણ પૂછ્યું કે શું કપ્સ કાફે કોમેડીનું કેન્દ્ર છે કે હિન્દુત્વ ફેલાવવાના કાવતરાનો ભાગ છે?
તમને જણાવી દઈએ કે, કપિલ શર્માએ 4 જુલાઈએ બ્રિટિશ કોલંબિયાના સરે શહેરમાં પોતાનું કાફે ખોલ્યું હતું. 10 જુલાઈની રાત્રે અજાણ્યા લોકોએ આ કાફે પર ગોળીબાર કર્યો હતો. પ્રતિબંધિત આતંકવાદી સંગઠન બબ્બર ખાલસા ઇન્ટરનેશનલ (BKI) સાથે સંકળાયેલા હરજીત સિંહ લાડી અને તુફાન સિંહે આ હુમલાની જવાબદારી લીધી છે.
કેનેડા સરકાર દ્વારા BKIને પણ આતંકવાદી સંગઠન માનવામાં આવ્યું છે અને હરજીત સિંહ લાડીનો પણ ભારતની રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)ની મોસ્ટ વોન્ટેડ યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
ભારત સરકારની પન્નુ પર કડક નજર
ગુરપતવંત સિંહ પન્નુને 2019 માં ભારત સરકાર દ્વારા વ્યક્તિગત આતંકવાદી જાહેર કરવામાં આવ્યા હતા. તેમના સંગઠન SFJ પર ભારતમાં પ્રતિબંધ છે અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (નિવારણ) કાયદા હેઠળ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
ભારતમાં પન્નુ સામે 104 કેસ નોંધાયા છે, જેમાંથી ઘણા કેસ NIA અને સંબંધિત રાજ્યો દ્વારા તપાસ કરવામાં આવી રહ્યા છે. NIA અનુસાર, પન્નુ અને SFJનો ઉદ્દેશ્ય ભારત સરકારને અસ્થિર કરવાનો અને પંજાબ સહિત ઘણા રાજ્યોમાં અશાંતિ ફેલાવવાનો છે.