બેલ્જિયમની સુપ્રીમ કોર્ટે અરજી ફગાવતાં મેહુલ ચોકસીના પ્રત્યાર્પણનો માર્ગ મોકળો
પીએનબી કૌભાંડમાં ભાગેડુ હીરા વેપારી સામે હવે કોઇ કાનૂની ઉપાય રહ્યો નથી
પંજાબ નેશનલ બેંક (PNB) કૌભાંડના મુખ્ય આરોપી અને ભાગેડુ હીરા વેપારી મેહુલ ચોક્સીને બેલ્જિયમની ન્યાયિક વ્યવસ્થા તરફથી જોરદાર ફટકો પડ્યો છે. બેલ્જિયમની સુપ્રીમ કોર્ટે ચોક્સીના ભારત પ્રત્યાર્પણને રોકવા માટે કરવામાં આવેલી અરજીને ફગાવી દીધી છે. આ મહત્વપૂર્ણ ચુકાદા બાદ હવે કરોડો રૂૂપિયાનું કૌભાંડ આચરીને વિદેશ ભાગી ગયેલા ચોક્સીને કાયદાકીય રીતે ભારત પરત લાવવાનો રસ્તો સાફ થઈ ગયો છે.
મંગળવારે બેલ્જિયમની સર્વોચ્ચ અદાલત, જેને ’કોર્ટ ઓફ કેસેશન’ તરીકે ઓળખવામાં આવે છે, તેણે પોતાનો આખરી ફેંસો સંભળાવ્યો હતો. કોર્ટના અધિકારી હેનરી વેન્ડરલિન્ડેને પુષ્ટિ કરી હતી કે મેહુલ ચોક્સી દ્વારા ભારત પ્રત્યાર્પણ સામે કરાયેલી અપીલને રદ કરવામાં આવી છે. આ સાથે જ અપીલ કોર્ટનો અગાઉનો નિર્ણય અમલમાં રહેશે. ઉલ્લેખનીય છે કે ચોક્સી અંદાજે 13,000 કરોડ રૂૂપિયાના કથિત પીએનબી કૌભાંડના સંબંધમાં વોન્ટેડ છે અને લાંબા સમયથી ભારત આવવાથી બચી રહ્યો છે.
આ પહેલાં એન્ટવર્પ શહેરની અપીલ કોર્ટે પણ ભારત સરકારની પ્રત્યાર્પણ વિનંતીને ગ્રાહ્ય રાખી હતી અને તેને અમલવારી માટે યોગ્ય ઠેરવી હતી. 29 નવેમ્બર, 2024 ના રોજ યોજાયેલી પ્રી-ટ્રાયલ સુનાવણીમાં કોર્ટે મુંબઈની સ્પેશિયલ કોર્ટ દ્વારા 2018 અને 2021 માં બહાર પાડવામાં આવેલા ધરપકડ વોરંટને કાયદેસર ગણાવ્યા હતા. ચોક્સીએ આ પ્રક્રિયાને પડકારીને સુપ્રીમ કોર્ટમાં ધા નાખી હતી, પરંતુ ત્યાં પણ તેને નિરાશા સાંપડી છે અને કોર્ટે તેના પ્રત્યાર્પણનો માર્ગ ખુલ્લો કરી દીધો છે.