સેના સાથે સંઘર્ષ વચ્ચે બાંગ્લાદેશના વડા મોહમ્મદ યુનુસ આપી શકે છે રાજીનામું
બંધક જેવું અનુભવી રહ્યાની લાગણી વ્યક્ત કરી
પાડોશી દેશ બાંગ્લાદેશમાં ફરી એકવાર મોટો ફેરફાર જોવા મળી શકે છે. દેશમાં વચગાળાની સરકારના પ્રમુખ મોહમ્મદ યુનુસ રાજીનામું આપી શકે છે. તેમણે હાલની સ્થિતિને જોતા રાજીનામું આપવાની ઈચ્છા વ્યક્ત કરી છે. મળતી માહિતી મુજબ, મોહમ્મદ યુનુસનું કહેવું છે કે, દેશમાં હાલની સ્થિતિને ધ્યાને રાખી રાજકીય પાર્ટીઓ સાથે મળીને કામ કરવું મુશ્કેલ દેખાઈ રહ્યું છે.
મોહમ્મદ યુનુસે ગુરૂૂવારે (22 મે) ઢાકામાં એડવાઇઝરી કાઉન્સિલની બેઠકમાં દેશની સ્થિતિ પર નારાજગી વ્યક્ત કરી હતી. વિદ્યાર્થી નેતા અને નેશનલ સિટિઝન પાર્ટીના પ્રમુખ નાહિદ ઇસ્લામે કહ્યું કે, અમે સવારથી સર યુનુસના રાજીનામાંની ખબર સાંભળી રહ્યા છીએ. તેથી હું આ મામલે ચર્ચા કરવા ગયો હતો. તેમણે મને કહ્યું કે, હું આ વિશે વિચારી રહ્યો છું. હું બંધક જેવું અનુભવી રહ્યો છું. મને લાગે છે કે, હાલની સ્થિતિમાં કામ ન કરી શકાય. જ્યાં સુધી રાજકીય પાર્ટી સામાન્ય સંમતિ સુધી નથી પહોંચતા, હું કામ નહીં કરી શકુ.નાહિદ ઇસ્લામે કહ્યું કે, જો યુનુસને સમર્થન નહીં મળે તો તેમનું પદ પર રહેવાનો કોઈ તર્ક નથી. જો રાજકીય પાર્ટી ઈચ્છે છે કે, તે અત્યારે જ રાજીનામું આપી દે તો તે કેમ રોકાશે?
નાહિદ ઇસ્લામ સાથે મહેફૂઝ આલમે પણ તેમના સત્તાવાર નિવાસ જમુના પર જઈને મુલાકાત લીધી હતી. તેના એક દિવસ પહેલાં જ બાંગ્લાદેશની સેનાના પ્રમુખ જનરલ વકાર-ઉઝ-ઝમાને મોહમ્મદ યુનુસને આકરી ચેતવણી આપતા ડિસેમ્બર સુધી ચૂંટણી કરાવવાનું અલ્ટીમેટમ આપ્યું હતું.
કહેવામાં આવી રહ્યું છે કે, બાંગ્લાદેશમાં મ્યાનમાર સરહદ પર માનવીય ગલિયારા બનાવવાની યોજનાને લઈને સેના અને સરકાર આમને-સામને છે. મોહમ્મદ યુનુસની આગેવાનીવાળી સરકારે અમેરિકા સાથે ગુપ્ત રૂૂપે બાંગ્લાદેશ-મ્યાનમાર સરહદ પર એક માનવીય કોરિડોર બનાવવાને લઈને કરાર કરવામાં આવ્યો હતો, પરંતુ બાંગ્લાદેશ આર્મી ચીફે તેના પર નારાજગી વ્યક્ત કરી હતી.