નેપાળમાં ભાગી રહેલા કેદીઓ પર સેનાનો ગોળીબાર, 2નાં મોત: 13 બિહારમાંથી ઝડપાયા
દેશવ્યાપી દેખાવો યથાવત, પૂર્વ ચીફ જસ્ટિશ સુશિલા કાર્કી વચગાળાના વડાપ્રધાન બને તેવી શક્યતા
નેપાળમાં ચાલી રહેલી રાજકીય અસ્થિરતા અને ઉથલપાથલ વચ્ચે, રામેછાપમાં કેદીઓએ જેલમાંથી ભાગવાનો પ્રયાસ કર્યો. આ પ્રયાસને રોકવા માટે સેનાએ ગોળીબાર કર્યો. જેના પરિણામે, બે કેદીઓનાં મોત થયા અને અન્ય 10 કેદીઓને ગોળી વાગી હતી. નેપાળમાં સેનાનું નિયંત્રણ થયા બાદ ગોળીબારની આ પ્રથમ ઘટના છે. આ ઉપરાંત બિહારનાં સિતામઢીમા નેપાળથી ભાગેલા 13 કેદીઓને સુરક્ષા દળો દ્વારા પકડી લેવામા આવ્યા છે. ગઇકાલે આર્મીએ શાસનની ધુરા સંભાળ્યા બાદ નેપાળના પુર્વ ચીફ જસ્ટીશ સુશિલા કાર્કીનુ નામ મોખરે છે. કાઠમંડુના મેયર બાલેન શાહ રેસમાથી ખસી ગયા છે. અને તેમણે કાર્કીને ટેકો જાહેર કર્યો છે.
કાર્કીએ એક નિવેદનમા વડાપ્રધાન મોદીની પ્રસંસા કરી છે. અહેવાલો મુજબ તેઓ અને સેના વચ્ચે નવી સરકારના ગઠન વિશે વાતચીત ચાલી રહી છે. દરમ્યાન જેન ઝેડના આગેવાનોએ સૈન્ય સમક્ષ કેટલીક માંગણીઓ રજુ કરી છે. જે મુજબ હાલમા નાગરીક - સૈન્ય સરકારની રચના અને 6 થી 1ર મહીનામા નવી ચુંટણીઓ યોજવાની દરખાસ્ત છે. આ પહેલાં કાઠમંડુ જેલમાંથી ભાગી ગયેલા એક બાંગ્લાદેશી નાગરિકને SSB દ્વારા પકડવામાં આવ્યો.
તે સોનાની તસ્કરીના આરોપસર પાંચ વર્ષથી નેપાળની જેલમાં હતો. આ ધરપકડ SSB ની 47મી બટાલિયન દ્વારા બિહાર-નેપાળ સરહદ પર કરવામાં આવી. કમાન્ડન્ટ સંજય પાંડેએ જણાવ્યું કે છેલ્લા ત્રણ દિવસથી નેપાળમાં બદલાયેલી પરિસ્થિતિને કારણે સરહદ પર પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે. આ દરમિયાન, બુધવારે બપોરે લગભગ ત્રણ વાગ્યે એક શંકાસ્પદ વ્યક્તિને કસ્ટડીમાં લેવામાં આવ્યો, જેનું નામ મોહમ્મદ અબુલ હસન ઢાલી છે. ઢાલીએ કબૂલ્યું કે તે નેપાળમાં થયેલા જેલ બ્રેકનો લાભ લઈને ભાગી આવ્યો છે. તે છેલ્લા પાંચ વર્ષથી કાઠમંડુની જેલમાં કેદ હતો અને ત્યાંથી ભાગીને રક્સૌલ પહોંચ્યો.નોંધનીય છે કે, ઓલી સરકાર વિરુદ્ધ ચાલી રહેલા આંદોલનના બીજા અને ત્રીજા દિવસે નેપાળના વિવિધ જિલ્લાઓમાંથી લગભગ 15,000 કેદીઓ જેલમાંથી ભાગી ગયા હતા.
આ સમયે નેપાળમાં તણાવપૂર્ણ સ્થિતિ છે. હિંસક દેખાવકારો દ્વારા નેપાળની સંસદ, રાષ્ટ્રપતિના ઘર, સુપ્રીમ કોર્ટ સહિત ઘણાં રાજકીય નેતાઓના ઘરોમાં આગચંપી કરી છે. આ ઉપરાંત દેશભરમાં અનેક સ્થળોએ હિંસા અને લૂંટફાટની ઘટનાઓ બની રહી છે. બેકાબૂ ટોળા દ્વારા કેટલાક ટોચના નેતાઓને માર માર્યાની ઘટનાઓ પણ સામે આવી છે. આ દરમિયાન નેપાળની સેના હેલિકોપ્ટર દ્વારા મંત્રીઓને સુરક્ષિત સ્થળે લઈ જઈ રહી છે હિંસક આંદોલનમા માર્યા ગયા લોકોની સંખ્યા 30 થઇ છે. અને 1000 લોકો ઘાયલ થયા છે.
નોંધનીય છે કે, નેપાળમાં ચાલી રહેલા આ આંદોલનને લોકો ૠયક્ષ-ણ રિવોલ્યુશન કહી રહ્યા છે, કારણ કે તેની આગેવાની યુવા અને વિદ્યાર્થીઓ કરી રહ્યા છે. નેપાળ સરકારે ફેસબૂક, એક્સ (ટ્વિટર), ઈન્સ્ટાગ્રામ, વ્હોટ્સએપ અને યુટ્યુબ સહિત 26 સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ મૂક્યો હતો. ગુસ્સે ભરાયેલા યુવાનો આ નિર્ણયને અભિવ્યક્તિ સ્વતંત્રતા પરનો હુમલો ગણાવીને રસ્તા પર ઉતર્યા છે અને દેશભરમાં તોડફોડ-હિંસા કરી રહ્યા છે.