પેશાવર-ઈસ્લામાબાદ-રાવલપીંડી-સિયાલકોટ લાહોર અને કરાચીમાં એરફોર્સ-નૌસેનાના હુમલા
ઓરમારા અને કરાચી બેઝ પર INS વિક્રાંતે કહેર વર્તાવ્યો : પાક.ની AWACS સીસ્ટમ તોડી પડાઈ
AWACS વિમાનને તોડી પાડવાથી પાકિસ્તાનની હવાઈ દેખરેખ અને સંદેશાવ્યવહાર સંકલન પ્રણાલીને મોટો ફટકો પડ્યો છે. બીજી તરફ ભારતીય વાયુસેના બાદ હવે નૌકાદળ પણ એક્શનમાં આવી ગયું છે. અરબી સમુદ્રમાં તૈનાત INS વિક્રાંતે કરાચીને નિશાન બનાવીને તબાહી મચાવવી શરૂૂ કરી દીધી છે. નૌકાદળના હુમલાને કારણે, કરાચી બંદર સહિત શહેરમાં ભારે આગ લાગી છે.
ભારતીય નૌકાદળે કરાચી બંદર પર મિસાઇલોથી હુમલો કર્યો છે. ત્યાં 12 મોટા વિસ્ફોટો સંભળાયા હતાં. આ વિસ્ફોટોનો પડઘો ઘણા કિલોમીટર દૂર સુધી સંભળાયો હતો, ત્યારબાદ લોકો ડરના કારણે પોતાના ઘરની બહાર નીકળી ગયા હતા. ભારતીય નૌકાદળના હુમલાને કારણે, બંદર પર ભીષણ આગ લાગી છે; ફાયર બ્રિગેડના વાહનો તેને ઓલવવા માટે સતત આગળ વધી રહ્યા છે. સાયરન વગાડીને લોકોને બંદરથી દૂર રહેવાની ચેતવણી આપવામાં આવી રહી છે.
સંરક્ષણ સૂત્રોના જણાવ્યા અનુસાર, પાકિસ્તાનના કરાચી અને ઓરમારા બંદરો પર INS વિક્રાંતથી અનેક મિસાઇલો છોડવામાં આવી છે. જેના કારણે બંને બંદરો પર ભીષણ આગ લાગી હતી. આ હુમલાને કારણે, બંને બંદર શહેરોમાં ધુમાડો ફેલાઈ ગયો છે. લોકો ગભરાટમાં દરિયાકાંઠાના વિસ્તારો છોડીને અંદરની તરફ દોડી રહ્યા છે.
રિપોર્ટ અનુસાર, પાકિસ્તાની નૌકાદળના કરાચી અને ઓરમારામાં બેઝ છે. જ્યાં તેમના ઉચ્ચ અધિકારીઓના મુખ્ય મથકો, યુદ્ધ જહાજો અને સબમરીન તૈનાત છે. આ બે નૌકાદળના મથકોનો નાશ કરીને, INS વિક્રાંતે પાકિસ્તાન નૌકાદળને ઘણી હદ સુધી પંગુ બનાવવામાં સફળતા મેળવી છે. હાલમાં ભારતીય નૌકાદળનું ઓપરેશન ચાલી રહ્યું છે.