બાંગ્લાદેશની જેલમાંથી 518 આતંકી નાસી છૂટ્યા
ભારત સરકાર એલર્ટ, બાંગ્લાદેશ સરહદ ઉપર BSFની નજર
બાંગ્લાદેશમાં શેખ હસીના સરકારની હકાલપટ્ટી બાદ ભારતીય સુરક્ષા એજન્સીઓ સંપૂર્ણ એલર્ટ પર છે. બાંગ્લાદેશ સાથેની ભારતીય સરહદો પર સંપૂર્ણ સતર્કતા સાથે નજર રાખવામાં આવી રહી છે. બીએસએફે તેના સર્વેલન્સ વિસ્તારની સરહદો પર એલર્ટ જાહેર કર્યું છે. ઘૂસણખોરી ન થાય તે માટે સુરક્ષા દળોને ચાંપતી નજર રાખવા માટે કહેવામાં આવ્યું છે. બાંગ્લાદેશની જેલમાંથી 518 આતંકવાદીઓ પણ નાસી છૂટતા ભારતીય સુરક્ષા એજન્સીઓ સર્તક બની ગઇ છે.
એક અધિકારીએ જણાવ્યું કે BSFએ 4,096 કિલોમીટર લાંબી સરહદ પર સાવચેતી રાખવાના નિર્દેશ આપ્યા છે. BSFના મહાનિર્દેશક દલજીત સિંહ ચૌધરી અને તેમની સાથે અન્ય વરિષ્ઠ અધિકારીઓ ભારત-બાંગ્લાદેશ સરહદ સુરક્ષાની સમીક્ષા કરવા પશ્ચિમ બંગાળ પહોંચ્યા અને ટોચના અધિકારીઓ સાથે બેઠક કર્યા બાદ જરૂૂરી માર્ગદર્શિકા જાહેર કરી.
બાંગ્લાદેશ તરફથી, નાદિયા જિલ્લાના માલુપારા, હલદરપારા, બાનપુર અને મટિયારીમાં ઘૂસણખોરીના પ્રયાસની સંભાવનાને ધ્યાનમાં રાખીને વિશેષ દેખરેખ રાખવામાં આવી રહી છે. મુર્શિદાબાદ જિલ્લાના ચર્મરાશી અને માલદા જિલ્લાની સાસની બોર્ડર ચોકીના વિસ્તારો પણ સંવેદનશીલ હોવાનું કહેવાય છે. બીએસએફએ બોર્ડર ગાર્ડ્સ બાંગ્લાદેશ સાથે પણ સંપર્ક સ્થાપિત કર્યો છે.
બાંગ્લાદેશમાં ચાલી રહેલી અશાંતિ દરમિયાન પ્રતિબંધિત ઈસ્લામિક આતંકવાદી સંગઠન જમાત-ઉલ-મુજાહિદ્દીન બાંગ્લાદેશ (ઉંખઇ) અને અંસારુલ્લા બાંગ્લા ટીમના 518થી વધુ સભ્યો જેલમાંથી ભાગી ગયા હોવાની બાતમી મળી છે. તેઓ ભારતમાં પ્રવેશે તેવી શક્યતાઓને લઈને એજન્સીઓ સતર્ક છે. આ આતંકવાદી સંગઠનો ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના સરહદી રાજ્યોમાં સક્રિય છે.
ભારત અને બાંગ્લાદેશ 4,096 કિલોમીટર લાંબી આંતરરાષ્ટ્રીય સરહદ વહેંચે છે, જેમાં આસામમાં 262 કિલોમીટર, ત્રિપુરામાં 856, મિઝોરમમાં 318, મેઘાલયમાં 443 અને પશ્ચિમ બંગાળમાં 2,217 કિલોમીટરનો સમાવેશ થાય છે.