સાઉદીમાં ગમખ્વાર અકસ્માતમાં હૈદરાબાદના 42 હાજીનાં મોત
મક્કામાં ઉમરાહ પઢીને મદિના જતી બસ ડીઝલ ટેન્કર સાથે અથડાયા બાદ ભયંકર બ્લાસ્ટમાં 20 મહિલા, 12 બાળકો સહિતના મુસાફરો ભડથું
મુસ્લિમ સમાજના સૌથી પવિત્ર તિર્થધામ સાઉદી અરેબિયાના મક્કા-મદિના નજીક ભારતીય સમય મુજબ આજે વહેલી સવારે 1.30 કલાકે એક અત્યંત દુ:ખદ અને ગોજારી દુર્ઘટના સર્જાયેલ છે. એક પેસેન્જર બસ ડીઝલ ભરેલા ટેન્કર સાથે અથડાતા બંને વાહનો અગનગોળો બની ગયા હતા. આ ભયાનક દુર્ઘટનામા ભારતના તેલંગણા-હૈદરાબાદથી મક્કા-મદીનામાં ઉમરાહ માટે ગયેલા 42 મુસ્લિમ શ્રધ્ધાળુઓના મૃત્યુ નિપજતા ભારે શોકની લાગણી ફેલાયેલ છે.
મળતી માહિતી મુજબ હૈદરાબાદના આ શ્રધ્ધાળુઓ ઉમરાહ પઢીને બસ મારફતે મક્કાથી મદિના જતા હતા. આ બનાવ ભારતીય સમય મુજબ રાત્રે 1.30 કલાકે મુફરીહાત નામના સ્થળે બન્યો હતો. રસ્તામા આ બસ ટેન્કર સાથે અથડાય હતી. અથડામણ સમયે અનેક મુસાફરો સુતા હતા. પેસેન્જર ભરેલી બસ ટેન્કર સાથે અથડાતા જ ભયંકર બ્લાસ્ટ થયો હતો અને બસમા આગ લાગી હતી. સાઉદી અરેબિયાની સ્થાનિક ઓથોરીટીએ જણાવ્યુ હતુ કે ટકકર બાદ 40 થી વધુ મુસાફરોનાં ઘટના સ્થળે જ મોત થયા હતા. પીડીતોમા 20 થી વધુ મહિલાઓ અને 11 બાળકોનો સમાવેશ થાય છે.
જો કે સતાવાર મૃત્યુઆંકની હજુ સુધી પુષ્ટિ થઇ નથી. આ દુર્ઘટનાનાં સમાચાર મળતા જ તેલંગણા રાજયનાં મુખ્યમંત્રી એ. રેવન્થા રેડીએ આ દુર્ઘટના પ્રત્યે શોક જાહેર કર્યો હતો અને રાજયનાં મુખ્ય સચિવ અને ડીજીપીને વિદેશ મંત્રાલય સાથે સંપર્ક કરીને તાત્કાલીક બનતી મદદ પુરી કરવા માટે આદેશો આપ્યા હતા. તેમણે કંટ્રોલ રૂમની વ્યવસ્થા શરૂ કરવા માટે પણ આદેશો આપ્યા હતા.
ભારતીય વિદેશ મંત્રાલયે સોશ્યલ મીડીયામા જણાવ્યા પ્રમાણે સરકાર રીયાધમા આવેલ ભારતીય દુતાવાસના સંપર્કમા છે અને વધુ માહિતી માટે કંટ્રોલ રૂમના મો. નં. 79979 59754 અને 99129 19545 જાહેર કરવામા આવ્યા છે. તેલંગણા સરકાર પણ આ અંગે વધુ માહિતી મેળવી રહી છે. સરકાર ભારતીય રાજદુત તેમજ વિદેશ મંત્રાલય સાથે પણ ટચમાં છે અને વધુ વિગતો મેળવી રહી છે.