અટારી બોર્ડર બંધ થતા અફઘાનથી ભારત આવતા ડ્રાયફ્રૂટના 300 ટ્રક ફસાયા
જરદાળુ, અંજીર, બદામ, કિસમિસ, અખરોટની સપ્લાય અટકતાં ભાવમાં ભડકો
પહલગામના આતંકવાદી હુમલા બાદ અફઘાનિસ્તાનથી પાકિસ્તાનના માર્ગે ભારત આવતા જરદાળુ, બદામ, કાળી અને લીલી કિસમિસ, પિસ્તા, અખરોટના ભાવમાં 15 ટકાનો વધારો થઈ ગયો છે. મામરો બદામના કિલોદીઠ ભાવમાં 400 થી 600 રૂૂપિયા, અંજીરના ભાવમાં 150 રૂૂપિયા, જરદાળુના ભાવમાં 50 રૂૂપિયા, કિસમિસના ભાવમાં 40 રૂૂપિયા, કાજુના કિલોદીઠ ભાવમાં 150 રૂૂપિયા, પિસ્તાના ભાવમાં 300 રૂૂપિયાનો વધારો થયો છે. આ જ રીતે અખરોટના ભાવમાં પણ તેજી જોવા મળી રહી છે. આ વધારાની અસર અમદાવાદ, ગુજરાત સહિત આખા દેશમાં જોવા મળી શકે છે.
અફઘાનિસ્તાનથી આવતા ડ્રાયફ્રલટ પાકિસ્તાન થઈને ભારત આવે છે. પહલગામ પછી પાકિસ્તાન સામે ભારત સરકાર દ્વારા લેવામાં આવી રહેલા પગલાંને પરિણામ ડ્રાય ફ્રૂટનો સપ્લાય જ ખોરવાઈ જવાની સંભાવના રહેલી છે. ભારતમાં ડ્રાય ફ્રૂટની સૌથી વધુ નિકાસ અફઘાનિસ્તાન કરે છે. અફઘાનિસ્તાનથી ભારતમાં દર વર્ષ અંદાજે 20,000 ટન ડ્રાય ફ્રૂટની આયાત થાય છે. જરદાળુ, બદામ, લીલી અને કાળી કિસમિસ, પિસ્તા, અખરોટનો સપ્લાય અટકી જવાની સંભાવના છે. ભારતમાં ડ્રાય ફ્રૂટનો વપરાશ છેલ્લાં થોડા વર્ષોથી વધી રહ્યો છે. તેથી સપ્લાયની ખેંચ વધતા ભાવ વધારો ઊંચો આવી શકે છે.
બજારના સૂત્રોનું કહેવું છે કે, ભારતમાં ડ્રાય ફ્રૂટનો ભાવ બહુ વધી ન જાય તે માટે તેની આયાત કરવા માટેના વિકલ્પની આપણે તપાસ કરવી પડશે. જોકે, ભારત અમેરિકાથી પણ ડ્રાય ફ્રૂટની આયાત કરે છે. અમેરિકાથી આયાત કરવામાં આવતા ડ્રાય ફ્રૂટ દુબઈ થઈને ભારતના બજારમાં આવે છે. અટારી બોર્ડરથી પણ ખાસ્સા ડ્રાય ફ્રુટ ભારતના બજારમાં ઠલવાઈ રહ્યા છે. એવામાં હવે તો અટારી બોર્ડર પણ હવે તો બંધ કરી દેવામાં આવી છે. અત્યારે પણ પાકિસ્તાન તરફની અટારી બોર્ડર પર ડ્રાય ફ્રૂટની 300 ટ્રક ભારતમાં પ્રવેશ મળે તેની રાહ જોઈને ઊભી છે.