મ્યાનમારની શાળા ઉપર સેનાની એરસ્ટ્રાઇકથી 20 વિદ્યાર્થીનાં મોત
બે શિક્ષકો પણ મોતને ભેટ્યા, ત્રણ ઘરોમાં નુકસાન
મ્યાનમારમાં સેનાએ પોતાની જ શાળા પર એરસ્ટ્રાઈક કરી દીધી જેમાં 20 વિદ્યાર્થીઓ અને બે શિક્ષકોના મોત થયા છે. આ હુમલો સોમવારે સવારે થયો જ્યારે બાળકો શાળામાં ભણી રહ્યા હતા. હુમલામાં 50થી વધુ લોકો ઈજાગ્રસ્ત છે. સ્થાનિક મીડિયા અનુસાર આ શાળા લોકતંત્ર સમર્થક આંદોલન સાથે જોડાયેલી હતી. મ્યાનમારની સેનાએ આ હુમલાને લઈને કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી.
મ્યાનમારના બીજા સૌથી મોટા શહેર માંડલેથી 115 કિમી દૂર સગાઈંગ વિસ્તારના એક ગામમાં આ હુમલો કરવામાં આવ્યો હતો. એપીના અહેવાલ અનુસાર સ્થાનિકોનો દાવો છે કે ફાઇટર જેટ દ્વારા શાળા પર બોમ્બવર્ષા કરાઇ. આસપાસના ત્રણ ઘરોમાં પણ ભારે નુકસાન થયું.
નેશનલ યુનિટી ગવર્નમેન્ટના પ્રવક્તા નાએ ફોન લેટે જણાવ્યું છે કે સેના જાણીજોઇને શાળા, હોસ્પિટલ અને મઠ જેવી જગ્યાઓ પર હુમલા કરે છે. સેના દ્વારા ખોટા દાવા કરવામાં આવે છે કે અહીં બળવાખોરો છૂપાયેલા છે. પરંતુ તેમનો ધ્યેય લોકોને ડરાવીને રાખવાનો છે.
નોંધનીય છે કે મ્યાનમારની સેના પર ઘણીવાર પોતાના જ દેશના નાગરિકો પર એરસ્ટ્રાઈક કરવાનો આરોપ અગાઉ પણ લાગી ચૂક્યો છે. સપ્ટેમ્બર 2022માં પણ આ જ વિસ્તારમાં એક શાળામાં હુમલો કરવામાં આવ્યો હતો જેમાં 7 બાળકો સહિત 13 લોકોના મોત થયા હતા. 2023માં એક સમારોહમાં હુમલો કરવામાં આવ્યો હતો જેમાં 160 લોકોના મોત થયા હતા.