T-20 વર્લ્ડ કપમાં ભારતનો વિજયી પ્રારંભ, આયર્લેન્ડ સામે 8 વિકેટે વિજય
કેપ્ટન રોહિત શર્માની ફિફ્ટી, ભારતીય બોલરોનો તરખાટ
ભારતે ટી20 વિશ્વકપમાં જીત સાથે શાનદાર શરૂૂઆત કરી છે. ટીમ ઈન્ડિયાએ પોતાની પ્રથમ મેચમાં આયર્લેન્ડને 8 વિકેટે કારમો પરાજય આપ્યો છે. ભારત હવે પોતાની બીજી મેચમાં 9 જૂને પાકિસ્તાન સામે ટકરાશે. ટોસ જીતીને કેપ્ટન રોહિત શર્માએ પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આયર્લેન્ડની ટીમ પ્રથમ બેટિંગ કરતા 16 ઓવરમાં 96 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. જેના જવાબમાં ભારતે 12.2 ઓવરમાં લક્ષ્ય હાસિલ કરી લીધો હતો.
લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમને વિરાટ કોહલીના રૂૂપમાં ઝટકો લાગ્યો હતો. કોહલી 1 રન બનાવી માર્ક એડાયરનો શિકાર બન્યો હતો. જ્યારે કેપ્ટન રોહિત શર્માએ 37 બોલમાં 4 ચોગ્ગા અને 3 સિક્સ સાથે 52 રન બનાવ્યા હતા. રોહિત શર્મા રિટાયર્ડ હર્ટ થયો હતો. સૂર્યકુમાર યાદવ 2 રન બનાવી આઉટ થયો હતો. રિષભ પંત 26 બોલમાં 3 ફોર અને 2 સિક્સ સાથે 36 રન બનાવી અણનમ રહ્યો હતો. આયર્લેન્ડની શરૂૂઆત એટલી ખરાબ રહી કે ટીમે પ્રથમ ત્રણ ઓવરની અંદર બંને ઓપનિંગ બેટરોની વિકેટ ગુમાવી દીધી હતી. કેપ્ટન પોલ સ્ટર્લિંગ 2 રન બનાવી આઉટ થયો અને એન્ડ્રયૂ બારલબર્ની પણ માત્ર પાંચ રન બનાવી પેવેલિયન પરત ફર્યો હતો. આ બંને બેટરને અર્શદીપે આઉટ કર્યા હતા. પાવરપ્લે ઓવરોમાં આયર્લેન્ડનો સ્કોર 2 વિકેટના નુકસાન પર 26 રન હતો.
લોરકાન ટકર સારા ફોર્મમાં હતો અને 10 રન બનાવી ક્રીઝ પર સેટ થઈ ગયો હતો, પરંતુ સાતમી ઓવરમાં હાર્દિક પંડ્યાએ તેને ક્લીન બોલ્ડ કરી દીધો હતો. હેરી ટેક્ટરનું બેટ ખામોશ રહ્યું,જે 16 બોલ રમી માત્ર 4 રન બનાવીશક્યો હતો. આયર્લેન્ડે 61 બોલની અંદર પોતાની 7 વિકેટ ગુમાવી દીધી હતી અને સ્કોર બોર્ડ પર માત્ર 49 રન હતા. 12મી ઓવરમાં આયર્લેન્ડે 50નો આંકડો પાર કર્યો હતો, પરંતુ આ ઓવરમાં અક્ષર પટેલે બૈરી મેક્કાર્થીની વિકેટ લીધી હતી. આ વચ્ચે જોશુઆ લિટિલ અને ગેરેથ ડેલાની વચ્ચે 27 રનની ભાગીદારી થઈ હતી. પરંતુ લિટિલ 14 રન બનાવી બુમરાહનો શિકાર બન્યો હતો. 15 ઓવર સુધી આયર્લેન્ડે 79 રન બનાવ્યા હતા અને તેની એક વિકેટ બાકી હતી.16મી ઓવરમાં ડેલાની આઉટ થતાં આયર્લેન્ડની ટીમ 96 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
આયર્લેન્ડનો સૌથી નાનો સ્કોર
ટી0 વિશ્વકપમાં આયર્લેન્ડનો આ બીજો સૌથી નાનો સ્કોર બની ગયો છે. આ પહેલા આયરીશ ટીમ 2010ના ટી20 વિશ્વકપમાં વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ માત્ર 68 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી. હવે તેનો ટી20 વિશ્વકપમાં આ બીજો સૌથી નાનો સ્કોર છે. ભારત તરફથી હાર્દિક પંડ્યાએ ત્રણ, બુમરાહ અને અર્શદીપે બે-બે તથા સિરાજ અને અક્ષરને એક-એક વિકેટ મળી હતી.
મેચ ફિક્સ? ટોસના વિવાદના કારણે સોશિયલ મીડિયામાં દાવો
ટી20 વર્લ્ડ કપ 2024માં ભારત અને આયર્લેન્ડ વચ્ચેની મેચ 5 જૂનના રોજ ન્યૂયોર્કના નાસાઉ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મુકાબલામાં ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું. પરંતુ આ પહેલા મેદાન પર એક અનોખી અને દુર્લભ ઘટના બની હતી, જેના કારણે સોશિયલ મીડિયા પર લોકો દાવો કરવા લાગ્યા છે કે મેચ ફિક્સ હતી. હકીકતમાં, જ્યારે રોહિતે સિક્કો ઉછાળ્યો અને તે નીચે પડ્યો, ત્યારે મેચ રેફરી મૂંઝવણમાં દેખાયા. મેચ રેફરીએ પહેલા જાહેરાત કરી કે આયર્લેન્ડે ટોસ જીત્યો છે, પરંતુ પછી પલટી મારતા જાહેરાત કરી કે રોહિત શર્માએ ટોસ જીત્યો છે. બસ આ કારણે લોકોએ ઈન્ટરનેટના માધ્યમથી ટોસને લઈને વિવાદ ઉભો કર્યો છે. લોકો આ મામલે વિચિત્ર પ્રતિક્રિયા આપી રહ્યા છે. કોઈએ કહ્યું કે બીસીસીઆઈએ આઈસીસીને ખરીદી લીધુ છે, તો કોઈએ કહ્યું છે કે મેચ સંપૂર્ણપણે ફિક્સ છે. એક તરફ લોકો ટોસને લઈને મેચ અધિકારીઓ, BCCI અને ICCને પણ ટ્રોલ કરવામાં વ્યસ્ત છે. પરંતુ એક વ્યક્તિએ આ સમગ્ર ઘટનાનું વર્ણન કરતા કહ્યું કે આયર્લેન્ડના કેપ્ટન પોલ સ્ટર્લિંગે હેડની માંગ કરી હતી. રેફરી ખરેખર તેનો કોલ સાંભળી શક્યો ન હતો, તેથી તેણે સ્ટર્લિંગ તરફ આંગળી ચીંધી અને પૂછ્યું કે તેનો કોલ શું છે. પોલે હેડ માગ્યો હતો, પરંતુ સિક્કામાં ટલ દેખાઈ હતી, તેથી રેફરીએ પાછળથી રોહિત શર્મા તરફ ઈશારો કરીને કહ્યું કે તેણે ટોસ જીત્યો છે.