ઉત્તરાખંડ દુર્ઘટના / રૂડકીમાં ઈંટના ભઠ્ઠાની દિવાલ થઈ ધરાશાયી, કાટમાળમાં દટાતા 5ના મોત, 3ની હાલત ગંભીર
ઉત્તરાખંડના રૂરકીમાં મંગળવારે સવારે એક દુઃખદ અકસ્માત સર્જાયો હતો. મેંગ્લોર કોતવાલીના લહાબોલી ગામમાં ઈંટોના ભઠ્ઠાની દિવાલ અચાનક ધરાશાયી થઈ છે. આ દરમિયાન અડધા ડઝનથી વધુ મજૂરો કાટમાળ નીચે દટાયા હતા. કાટમાળમાંથી અત્યાર સુધીમાં પાંચ મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે. જ્યારે ત્રણની હાલત ગંભીર છે.
મળતી માહિતી અનુસાર, સવારે ઈંટો પકવવા માટેની ચીમનીમાં ઈંટો ભરતી વખતે આ અકસ્માત સર્જાયો હતો. કામદારો કામ કરી રહ્યા હતા ત્યારે અચાનક દિવાલ ધરાશાયી થઈ ગઈ હતી. કોઈ કંઈ સમજે તે પહેલા જ દિવાલ પાસે ઉભેલા કામદારો કાટમાળ નીચે દટાઈ ગયા હતા.
જેસીબીની મદદથી બહાર કાઢવામાં આવ્યા મૃતદેહો
હાલ જેસીબીની મદદથી કાટમાળ હટાવવાની કામગીરી ચાલી રહી છે. એસપી દેહત સહિત પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. મેંગ્લોર પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પ્રદીપ બિષ્ટે જણાવ્યું કે, અત્યાર સુધીમાં પાંચ મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે. જ્યારે ત્રણ મજૂરોની હાલત ગંભીર હોવાથી તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમાંથી ત્રણ મજૂરો લહાબોલી ગામના હતા, એક મજૂર મુઝફ્ફરનગરનો અને બીજો સ્થાનિક ગામનો હતો.