ત્રણ રાજ્યોના પરિણામ, કોંગ્રેસની ‘પનોતી’નો પ્રારંભ
દેશના રાજસ્થાન, મધ્યપ્રદેશ, છતીસગઢ અને તેલંગણા એમ ચાર રાજયોની ધારાસભાની ચુંટણીઓમાં ભાજપે મધ્યપ્રદેશમાં શાસન જાળવી રાખ્યું છે અને રાજસ્થાન તથા છતીસગઢ કોંગ્રેસ પાસેથી છીનવી લીધા છે અને લોકસભાની 2024ની ચુંટણીના સેમિ ફાઇનલમાં ભાજપે કોંગ્રેસને ચારોખાને ચિત કરી દીધી હોય તેવા પરિણામો આવ્યા છે ત્યારે કોંગ્રેસની આવી કારમી હાર પાછળના કારણો અંગે રાજકીય તજજ્ઞો અલગ-અલગ ગણીતો માંડવા લાગ્યા છે.
પરંતુ આ ચુંટણીમાં કોંગ્રેસની પનોતીનો પ્રારંભ થયો હોવાનું તારણ નિષ્ણાંતો કાઢી રહ્યા છે. ધારાસભાની ચુંટણીના અંતિમ ચરણ વખતે વર્લ્ડકપની મેચમાં ઓસ્ટ્રેલીયા સામે ભારતનો પરાજય થતા રાહુલ ગાંધીએ વધુ એક વખત ભુલ કરી વડાપ્રધાન મોદીને ‘પનોતી’ ગણાવ્યા અને કોંગ્રેસની પનોતી બેસી ગઇ હોવાનું નિષ્ણાંતો માને છે.
ચાર રાજયની ચુંટણીના પરિણામો ઉપર નજર કરીએ તો ધારાસભાની કુલ 638 બેઠકોમાંથી ભાજપે 340 બેઠકો જીતી રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છતીસગઢમાં સરકારો બનાવી છે જયારે તેલંગણામાં 2018માં માત્ર એક બેઠક હતી તેની જગ્યાએ આઠ બેઠક મેળવી છે. આ ચાર રાજયોમાં 2018ની ચુંટણી વખતે ભાજપે 198 બેઠકો જીતી હતી તેમાં 2023ની ચુંટણીમાં 142 બેઠકોનો વધારો થયો છે.
રાજસ્થાન ભાજપે કોંગ્રેસ પાસેથી છીનવી લીધુ છે જયારે મધ્યપ્રદેશમાં ગુજરાતવાળી કરી સતા જાળવી રાખી છે અને અહીં 54 બેઠકો વધી છે. છતીસગઢમાં પણ 39 બેઠકો વધી છે.