મહારાષ્ટ્રમાં નવાબ મલિક મામલે નવું કમઠાણ, ફડણવીસ-પવાર આમને સામને
મહારાષ્ટ્ર સરકારનું માંડ રાગે પડેલું ગાડું ફરી પાછું અટવાયું છે. અવારનવાર મહારાષ્ટ્રના રાજનીતિ ચર્ચાની એરણે ચઢતી હોય છે અને ક્યારેક ગઠબંધનના ભાગીદારોની લડાઈ પણ સામે આવતી હોય છે.
હવે નવા ઘટનાક્રમમાં ફરી પાછી ગઠબંધનના ભાગીદારો વચ્ચે તકરાર પડી હોય તેમ લાગી રહ્યું છે. કારણ છે એનસીપીના દિગ્ગજ નેતા નવાબ મલિક.
મની લોન્ડરિંગ કેસમાં જામીન પર છુટેલા એનસીપી નેતા નવાબ મલિકની વિધાનસભામાં એન્ટ્રી લઈને ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે બીજા ડેપ્યુટી સીએમ અજીત પવારને પત્ર લખી નવાબ મલિકની હાજરી સામે વાંધો ઉઠાવ્યો છે. તેમણે કહ્યું કે નવાબ મલિક પર આરોપ લગાવવામાં આવી રહ્યા છે અને તેથી તેમને સત્તારૂૂઢ ગઠબંધન મહાયુતિમાં સામેલ કરવા યોગ્ય નથી. અજીત પવારને લખેલા પત્રમાં ફડણવીસે કહ્યું કે, સત્તા આવે છે અને જાય છે, પરંતુ દેશ મહત્વનો છે. જો તેમની (નવાબ મલિક) સામેના આરોપો સાબિત ન થાય તો આપણે તેમનું સ્વાગત કરવું જોઈએ. પરંતુ અમારો સ્પષ્ટ મત છે કે જ્યારે તેમની સામે આવા આરોપો હોય છે, ત્યારે તેમને મહાયુતિમા સામેલ કરવા યોગ્ય નથી.
મની લોન્ડ્રિંગ કેસમાં જામીન પર બહાર આવેલા મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી અને એનસીપીના વરિષ્ઠ નેતા નવાબ મલિકે 7 ડિસેમ્બરે પહેલીવાર મહારાષ્ટ્ર વિધાનસભા સત્રમાં હાજરી આપી હતી. નાગપુરમાં ચાલી રહેલા શિયાળુ સત્રના પ્રથમ દિવસે તેઓ વિધાનભવન પરિસરમાં અજિત પવારની આગેવાની હેઠળના જૂથના સભ્યોની બાજુમાં પાછળની હરોળની બેન્ચ પર બેઠેલા જોવા મળ્યા હતા. આ પહેલા 64 વર્ષીય નવાબ મલિકનું અજીત પવારના નેતૃત્વવાળી એનસીપીના નેતા અનિલ પાટીલે ઉમળકાભેર સ્વાગત કર્યું હતું.
આ પત્ર બાદ અજીત પવાર જૂથની પ્રતિક્રિયા આવી છે. અજિત પવારના પ્રવક્તા સૂરજ ચવ્હાણે કહ્યું હતું કે તેઓ નવાબ મલિકને ટેકો આપે છે. એવું કહેવામાં આવ્યું છે કે આ તેમની પાર્ટીની ઇચ્છા છે. પ્રવક્તાએ વધુમાં જણાવ્યું હતું કે, કોર્ટ દ્વારા કોઈની સામે આરોપ સાબિત કરવામાં આવે તે પહેલા કોઈને દેશદ્રોહી કહેવા યોગ્ય નથી. અજિત જૂથે સ્પષ્ટ કહ્યું છે કે તેઓ નવાબ મલિકની સાથે છે.