કોરોનામાં મેડિકલ પ્રવેશ, વિદ્યાર્થીઓને પાસ થવા માટે ચારને બદલે પાંચ તક
દેશમાં કોરોના મહામારી દરમિયાન જે વિદ્યાર્થીઓએ મેડિકલમાં પહેલા વર્ષમાં પ્રવેશ લીધો હતો અને કોઇ કારણોસર ચાર પ્રયાસ થયા પછી પણ મેડિકલના જે તે વર્ષમાં પાસ થઇ શકયા નથી તેઓને વધારાની એટલે કે પાંચમી તક આપવાની જાહેરાત નેશનલ મેડિકલ કમીશન દ્વારા કરવામાં આવી છે. કમીશનની આ જાહેરાતના કારણે અનેક વિદ્યાર્થીઓને પાસ થવા માટે વધારાની એક તક મળશે.
નેશનલ મેડિકલ કમીશન અંતર્ગત અંડર ગ્રેજ્યુએટ મેડિકલ એજયુકેશન બોર્ડ દ્વારા કોરોના કાળમાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓને વધારાની પાંચમી તક આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. મેડિકલ શિક્ષણ સાથે જોડાયેલા તજજ્ઞોના કહેવા પ્રમાણે મેડિકલમાં પ્રવેશ લીધા બાદ કોઇપણ વિદ્યાર્થી જે તે વર્ષમાં એકથી લઇને ત્રણ વર્ષ નાપાસ થાય તો પણ તેને પાસ થવા માટે ચોથી તક આપવામાં આવતી હોય છે. ચાર તક આપ્યા પછી પણ કોઇ વિદ્યાર્થી જે તે વર્ષમાં પાસ ન થઇ શકે તો તેનો પ્રવેશ રદ કરી દેવામાં આવે છે. આ નિયમ મેડિકલમાં પ્રવેશ લેનારા તમામ વિદ્યાર્થીઓને લાગુ પડતો હોય છે. કોરોના મહામારી દરમિયાન વર્ષ 2020-21માં મેડિકલમાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓને પૈકી કેટલાક વિદ્યાર્થીઓને આ પ્રકારની ચાર તક આપ્યા પછી પણ તેઓ પાસ થઇ શકયા નથી. આ સ્થિતિમાં નેશનલ મેડિકલ કમીશન દ્વારા એવો નિર્ણય કરવામાં આવ્યો છે કે, કોરોના દરમિયાન જે વિદ્યાર્થીઓે મેડિકલમાં પ્રવેશ લીધો હતો તે પૈકી અનેક વિદ્યાર્થીઓને વાંચવાથી લઇને અનેક પ્રકારની મુશ્કેલીઓ નડી હતી. આ મુશ્કેલીના કારણે તેઓ રેગ્યુલર અભ્યાસ ન કરી શકવાથી જે તે વર્ષમાં નાપાસ થયા હતા. સળંગ ચાર વખત નાપાસ થવાથી તેમના પ્રવેશ નિયમ પ્રમાણે રદ કરી દેવામાં આવતાં હોય છે. આ સ્થિતિમાં જે વિદ્યાર્થીઓ ચાર પ્રયાસ પછી પણ જે તે વર્ષમાં પાસ થઇ શકયા નથી તેઓને વધારાની પાંચમી તક આપવામાં આવશે. હાલમાં જે વિદ્યાર્થીઓએ ચાર તક પછી અભ્યાસ છોડી દીધો છે અથવા તો છોડી દેવાની તૈયારી કરી છે તેઓ હવે આગામી દિવસોમાં પાંચમી વખત જે તે વર્ષમાં પાસ થવા માટે પ્રયાસ કરી શકશે.આ ઉપરાંત એવી સ્પષ્ટતાં પણ કરવામાં આવી છે કે, આ વ્યવસ્થા માત્ર કોરોના કાળમાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓ પુરતી મર્યાદિત રહેશે.