કૃષ્ણ જન્મભૂમિ કેસ / અલ્હાબાદ હાઈકોર્ટનો મોટો નિર્ણય, શાહી ઈદગાહ મસ્જિદના સર્વેને આપી મંજૂરી
અલ્હાબાદ હાઈકોર્ટમાં કૃષ્ણ જન્મભૂમિ-ઈદગાહ કેસની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં કોર્ટે સર્વે કરવાની મંજૂરી આપી દીધી છે. એક તરફ કોર્ટે હિન્દુ પક્ષની અરજી સ્વીકારી છે. તો બીજી તરફ ઈદગાહ કમિટી અને વક્ફ બોર્ડની દલીલોને કોર્ટે ફગાવી દીધી છે. આ પહેલા હાઈકોર્ટના જસ્ટિસ મયંક કુમાર જૈને 16 નવેમ્બરે પક્ષકારોને સાંભળ્યા બાદ ચુકાદો અનામત રાખ્યો હતો.
જન્મભૂમિ-ઇદગાહ કેસમાં 16 નવેમ્બરે થયેલી સુનાવણી બાદ હાઇકોર્ટે તમામ 18 કેસ સાથે સંબંધિત વાદી અને પ્રતિવાદીઓને વ્યક્તિગત રીતે હાજર રહેવા આદેશ કર્યો હતો. કૃષ્ણ જન્મભૂમિ મુક્તિ ન્યાસના અધ્યક્ષ મહેન્દ્ર પ્રતાપ સિંહે કહ્યું કે, હાઈકોર્ટે સેશન્સ કોર્ટમાં દાખલ 18 કેસની ફાઈલો તેના અધિકારક્ષેત્રમાં સુનાવણી માટે લીધી છે.
તેમણે આરોપ લગાવ્યો કે, ઈદગાહ પાર્ટી જન્મસ્થળના આર્કિટેક્ચર સાથે રમત કરીને પુરાવાનો નાશ કરી રહી છે. પુરાવાનો નાશ થાય તે પહેલા જ્ઞાનવાપીની તર્જ પર જન્મસ્થળનો સર્વે કરવાનો આદેશ કરવા હાઇકોર્ટ સમક્ષ માંગણી કરવામાં આવશે.