અંતિમ T-20માં ભારતે ઓસ્ટ્રેલિયાને 6 રનથી હરાવ્યું, 4-1થી શ્રેણી જીતી
ભારતે પાંચમી અને અંતિમ ટી20માં ઓસ્ટ્રેલિયાને 6 રનથી હરાવ્યું હતું. મેચ જીતવા 161 રનના ટાર્ગેટ સામે ઓસ્ટ્રેલિયા 8 વિકેટના નુકસાન પર 154 રન કરી શક્યું હતું. ઓસ્ટ્રેલિયાને મેચ જીતવા અંતિમ ઓવરમાં 10 રનની જરૂૂર હતી. પરંતુ અર્શદીપે 4 રન આપ્યા હતા અને એક મહત્વની વિકેટ લીધી હતી. ભારત તરફથી મુકેશ કુમારે 39 રનમાં 3, રવિ બિશ્નોઈએ 29 રનમાં 2, અર્શદીપ સિંહે 40 રનમાં 2 તથા અક્ષર પટેલે 14 રનમાં 1 વિકેટ લીધી હતી. મેચ જીતવાની સાથે જ ભારતે 5 મેચની સીરિઝ 4-1થી પોતાના નામે કરી હતી.
ભારતે ઓસ્ટ્રેલિયાને 161 રનનો ટાર્ગેટ આપ્યો હતો. બેટિંગ ફ્રેન્ડલી પિચ પર પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમ 20 ઓવરમાં આઠ વિકેટે 160 રન જ બનાવી શકી હતી. ચાર ઓવરમાં 33 રનના સ્કોર પર પ્રથમ વિકેટ પડ્યા બાદ ટીમ ઈન્ડિયાએ નિયમિત અંતરે વિકેટ ગુમાવી હતી. ભારતે 10મી ઓવરમાં માત્ર 55 રનમાં ચાર વિકેટ ગુમાવી દીધી હતી. ઋતુરાજ ગાયકવાડ, સૂર્યકુમાર યાદવ અને રિંકુ સિંહના બેટ શાંત રહ્યા. જોકે, શ્રેયસ અય્યર એક છેડે ઊભો રહ્યો હતો. અય્યરે 37 બોલમાં 53 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેના બેટમાંથી 5 ચોગ્ગા અને 2 છગ્ગા આવ્યા હતા. જીતેશ શર્મા 24 રન અને અક્ષર પટેલ 31 રને તેને સારો સાથ આપ્યો હતો. ઓસ્ટ્રેલિયા તરફથી જેસન બેહરેનડોર્ફ અને બેન દ્વારશુઈસે બે-બે વિકેટ લીધી હતી.
યશસ્વી જયસ્વાલે 15 બોલમાં 21 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં 1 ફોર અને 2 સિક્સર ફટકારી હતી. પરંતુ સારી શરૂઆતને મોટી ઇનિંગ્સમાં બદલી શક્યો નહીં. ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર જેસન બેહરેનડોર્ફે યશસ્વી જયસ્વાલને પોતાનો શિકાર બનાવ્યો હતો. આ પછી ભારતીય બેટ્સમેનો નિયમિત અંતરે પેવેલિયન પરત ફરતા રહ્યા હતા.ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવ ઉપરાંત રુતુરાજ ગાયકવાડ અને રિંકુ સિંહ સસ્તામાં પેવેલિયન પરત ફર્યા હતા.