વિસ્તરણની વાત પૂરી? રાજીનામા આપનાર પ્રધાનોના ખાતા અન્યોને સોંપાયા
દેશના કૃષિ મંત્રી તરીકે નરેન્દ્ર સિંહ તોમરે રાજીનામું આપી દેતા તેમને એમપીના સીએમ બનાવાય તેવી અટકળો ઉપડી છે. તેઓ એમપીમાં ધારાસભ્યે પદે ચૂંટાયા છે. રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ ગુરુવારે મધ્ય પ્રદેશ અને છત્તીસગઢ રાજ્ય વિધાનસભાઓમાં ચૂંટાયા બાદ ત્રણ કેન્દ્રીય પ્રધાનો નરેન્દ્રસિંહ તોમર, પ્રહલાદ સિંહ પટેલ અને રેણુકા સિંહના કેન્દ્રીય મંત્રીપરિષદમાંથી રાજીનામું સ્વીકારી લીધું હતું.
રાષ્ટ્રપતિ ભવનની એક યાદીમાં જણાવાયું હતું કે અર્જુન મુંડાને તેમના હાલના પોર્ટફોલિયો ઉપરાંત કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયનો હવાલો સોંપવામાં આવ્યો છે. નરેન્દ્રસિંહ તોમરના રાજીનામા સાથે તેમના એમપીના સીએમ બનવાની અટકળો વહેતી થઈ છે. તોમર પીએમ મોદી અને શાહની ગુડ બુકમાં છે અને ખેડૂત આંદોલન વખતે તેમણે કેન્દ્ર વતી સારુ પ્રતિનિધિત્વ કર્યું હતું. તોમર એમપીના દિગ્ગજ ભાજપ નેતા છે. તેઓ એમપીની મુરેના બેઠક પરથી ધારાસભ્ય પદે ચૂંટાયા છે.
રાજ્ય મંત્રી શોભા કરંદલાજેને પ્રહલાદ સિંહ પટેલની જગ્યાએ તેમના હાલના ખાતા ઉપરાંત ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ મંત્રાલયમાં રાજ્યમંત્રીનો કાર્યભાર સોંપવામાં આવ્યો છે. આઈટી રાજ્યમંત્રી રાજીવ ચંદ્રશેખરને તેમના હાલના વિભાગો ઉપરાંત જલ શક્તિ મંત્રાલયમાં રાજ્યમંત્રીનો હવાલો સોંપવામાં આવ્યો છે. આ મંત્રાલયનું નેતૃત્વ પ્રહલાદસિંહ પટેલ પણ કરતા હતા. રાજ્યકક્ષાના પ્રધાન ડો.ભારતી પ્રવીણ પવારને તેમના હાલના ખાતા ઉપરાંત આદિજાતિ બાબતોના મંત્રાલયમાં રાજ્યકક્ષાના પ્રધાનનો હવાલો સોંપવામાં આવ્યો છે. તે રેણુકા સિંહ સિંહની જગ્યા લેશે.