ન્યૂ શક્તિ સોસાયટીમાં પતિએ ચારિત્ર્ય પર શંકા કરી પત્નીને માર માર્યો
શહેરમાં મોરબી રોડ ઉપર ન્યુ શક્તિ સોસાયટીમાં પતિએ ચારિત્ર્ય ઉપર શંકા કરી પત્નીને લાકડી વડે માર માર્યો હતો. પરિણીતાને ઇજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવી હતી.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ મોરબી રોડ ઉપર આવેલી ન્યુ શક્તિ સોસાયટીમાં રહેતી હેમલતાબેન પરસોતમભાઈ નડિયાપરા નામની 45 વર્ષની પરિણીતા પોતાના ઘરે હતી ત્યારે સાંજના સાતેક વાગ્યાના અરસામાં તેના પતિ પરસોત્તમભાઈ નડિયાપરાએ લાકડી વડે માર માર્યો હતો. પરિણીતાને ઈજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. પ્રાથમિક પૂછપરછમાં પરસોતમભાઈ નડીયાપરાએ પત્ની લતાબેનના ચારિત્ર્ય ઉપર શંકા કરી માર માર્યો હોવાનું જાણવા મળ્યું છે.
આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં ઠક્કરબાપા હરિજનવાસમાં રહેતા કારણ અનિલભાઈ ગળીયલ નામનો 28 વર્ષનો યુવાન પોતાના ઘરે હતો ત્યારે મગજની બીમારીના કારણે ઝેરી દવા પી લીધી હતી. જ્યારે બેડી ગામમાં રહેતા મનુભાઈ હંસરાજભાઈ જોગડીયા નામના 55 વર્ષના આધેડ પોતાની વાડીએ હતા. ત્યારે કોઈ અગમ્ય કારણસર ઝેરી દવા પી લીધી હતી. ઝેરી દવા પી લેનાર યુવક અને આધેડને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.