સુરતમાં એક જ પરિવારના ચાર વૃદ્ધો રાત્રે સૂતા બાદ સવારે ઉઠ્યા જ નહીં, સામૂહિક આત્મહત્યાની આશંકા
સુરતના જહાગીરપુરા વિસ્તારમાંથી 4 લોકોના શંકાસ્પદ મૃત્યુની ઘટના સામે આવી છે. જહાગીરપુરા વિસ્તારમાં પતિ-પત્ની અને બે સાળી રાત્રે સૂતા બાદ સવારે ઊઠ્યા જ નહીં. ચારેયે સામૂહિક આપઘાત કર્યાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ઘટનાની જાણ થતાં જ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી છે.
આ ઘટનાની જાણવા મળતી માહિતી અનુસાર ચારેય મૃતકો રાત્રે રસ-પૂરી જમ્યા હતા અને બાદમાં સુઈ ગયાં હતા. જેમાં એક મહિલાએ વોમિટિંગ કર્યાના નિશાન પણ જોવા મળ્યા છે. ત્યારે આ ઘટના સામુહિક આપઘાતની છે કે ફૂડ પોઈઝનિંગથી ચારેયના મોત થયા છે તે કહેવું હાલ મુશ્કેલ છે. પોલીસે કારણ જાણવા માટે એફએસએલની મદદ લીધી છે. ઘટનાને પગલે આજુબાજુનાં ઘરમાંથી પણ લોકો એકત્ર થઈ ગયા છે. ઘટના પાછળનું કારણ હાલ અકબંધ છે. પોલીસે આજુબાજુનાં ઘરના લોકોનાં નિવેદન લેવાનું શરૂ કર્યું છે. જેમાં જાણવા મળ્યું કે, રાત્રે જમ્યા બાદ તમામ સૂઈ ગયા હતાં. જો કે સવારે ન જાગતાં શંકાના આધારે જગાડવા પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ જાગ્યા જ નહીં.
પોલીસે જણાવ્યું હતું કે, પ્રાથમિક તબક્કે આપઘાતનો બનાવ લાગી રહ્યો છે. કારણ જાણવા આસપાસમાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે. તમામના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યાં છે. પીએમ રિપોર્ટ બાદ જ આપઘાત અંગેની વધુ વિગતો સામે આવી શકે તેમ છે. હાલ તપાસ ચાલી રહી છે.
મૃતકોના નામ
જશુબેન કેશવભાઈ વાઢેર (ઉં.વ.58)
શાંતુબેન વાઢેર (ઉં.વ.55)
ગૌબેન હીરાભાઈ મેવાડા (ઉં.વ. 55)
હીરાભાઈ દાનભાઈ મેવાડા (ઉં.વ. 60)