ભાણવડના ગડુ ગામે બિનવારસુ ગૌમાતા પર અજાણ્યા નરાધમ દ્વારા તીક્ષ્ણ હથિયાર વડે હુમલો
ભાણવડ તાલુકાના ગડુ ગામના વાડી વિસ્તારમાં ગતરાત્રે એક બિનવારસુ ગાય ચારો ખાવા માટે કોઈ વાડી ખેતરમાં ગઈ હોય, જેને લીધે કથિત રીતે આ વાડીના વિકૃત મગજના મનાતા આ વાડી માલિક દ્વારા આ ગાય પર કુહાડા જેવા તીક્ષ્ણ હથિયારથી પેટની નીચેના ભાગે ઘા ઝીંકીને ગંભીર ઈજા પહોંચાડી હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.
ઈજાગ્રસ્ત બનેલી આ ગાય લોહી-લોહાણ અવસ્થામાં ગામ તરફ આવતા ગડુ ગામના ગ્રામજનો દ્વારા આ ગામના એનિમલ લવર્સ ગ્રુપને જાણ કરવામાં આવી હતી. જેથી જીવદયા પ્રેમી યુવાનો અને પૂનમબેન માડમ ટ્રસ્ટના વેટરનરી ડોકટર દ્વારા આ ઇજાગ્રસ્ત ગાયને અઢાર જેટલા ટાંકા લઈને જરૂરી સારવાર કરવામાં આવી હતી.
આ અબોલ જીવ પર આ પ્રકારનું કૃત્ય આચરનાર નરાધમ વ્યક્તિને બોધપાઠ મળે તેવી માંગ પણ ઉઠી છે. માનવતાને શર્મસાર કરતા આ બનાવથી પંથકનાં જીવદયા પ્રેમીઓમાં ભારે રોષ અને ફિટકારની લાગણી પ્રસરી ગઈ છે.