ધોરાજીમાં પતિ-પત્ની અને પુત્રીની એકસાથે અર્થી ઉઠતા સર્જાયા કરુણ દૃશ્યો
- ગઈકાલે સવારે પટેલ પરિવાર માંડાસણ ગામે સોમયજ્ઞમાંથી પરત ફરતો હતો ત્યારે કારનું ટાયર ફાટતાં કાર ભાદર નદીમાં ખાબકી હતી
- વડોદરાથી આવેલ પુત્રએ માતા પિતા અને બહેનના મૃતદેહ જોઈ આઘાતમાં સરી પડયો
ગઈકાલે ધોરાજી પોરબંદર રાજકોટ નેશનલ હાઈવે ભાદર પુલ ઉપરથી કાર નીચે પડતા એક જ પરિવારના ચાર ના મોત થયા હતા.આ પરિવાર ધોરાજીનો હોવાનું જાણવા મળી રહ્યું છે.પોરબંદર રાજકોટ નેશનલ હાઇવે ઉપર ભાદર નદીના પુલ ઉપર અચાનક કાર નું ટાયર ફાટતા કાર ચાલકે કાબૂ ગૂમાવી દેતા કાર ભાદર નદીના પૂલ નીચે નદીમાં પડતા એક જ પરિવારના ત્રણ સહિત ચારના મોત નિપજ્યા હતા.આ ઘટનામાં આજે એકજ પરિવારના ત્રણ વ્યક્તિની અર્થી ઉઠતા ધોરાજી પંથક હિબકે ચડ્યું હતું.પ્રાપ્ત માહિતી મુજબ,ધોરાજીના કુંભારવાડા વિસ્તારમાં રહેતા દિનેશભાઈ દામજીભાઈ ઠુમમર(ઉ.46) તેઓ પરિવાર સાથે જામજોધપુર નજીક આવેલા માંડાસણ ગામ ખાતે સોમયજ્ઞમાં ગયા હતા.ત્યાં દર્શન કરી અને ત્યારબાદ ત્યાંથી પરિવાર સાથે પોતાની કાર ચલાવી પરત ફરતા હતા.ત્યારે ધોરાજી નજીક પહોંચતા ભાદર નદીના પુલ પાસે અચાનક કારનું ટાયર ફાટતાં ચાલક દિનેશભાઈએ કાબૂ ગૂમાવી દેતા કાર પલટી મારીને પુલની રેલિંગ તોડી ભાદર નદીમાં ખાબકતા કારની અંદર ચાલક તરીકે દિનેશભાઈ દામજીભાઈ ઠુંમર,તેમના પત્ની લીલાવંતીબેન દિનેશભાઇ ઠુંમર,દીકરી હાર્દિકા ઠુંમર (ઉ.વ.રર) અને તેમના પાટલા સાસુ સ્વાતીબેન પ્રવિણભાઇ કોયાણી (ઉ.વ.પપ)ના ડૂબી જવાથી કમકમાટી ભર્યા મોત થતા અરેરાટી વ્યાપી ગઇ હતી.
આ ઘટનાને પગલે સ્થાનિક તરવૈયાઓએ નદીમાં છલાંગ લગાવી ચારેય વ્યક્તિના મૃતદેહોને બહાર કાઢ્યા હતા.મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ત્યાં પણ લોકોના ટોળાં એકત્ર થઈ ગયા હતા.આ બનાવ અંગેની જાણ થતાં જ ધોરાજીના તાલુકા પી.એસ.આઇ વિક્રમસિંહ જેઠવા અને સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.મૃતક દિનેશભાઈ ધોરાજી શહેર ભાજપમાં પૂર્વ ઉપપ્રમુખ હતા અને તુલસી ચેરીટેબલ ટ્રસ્ટના સભ્ય હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.દિનેશભાઈ તેમના પત્ની અને પુત્રીના મૃત્યુથી અરેરાટી મચી ગઇ છે તેમજ પુત્રી હાર્દિકાની સગાઈ દોઢ મહિના પહેલા જ થઈ હતી.હવે તેમના પરિવારમાં માત્ર એક પુત્ર જ હોય જે વડોદરા અભ્યાસ કરતો હોય તે ત્યાંથી ધોરાજી આવતા આઘાતમાં સરી પડ્યો હતો.એક જ પરિવારના ત્રણ સભ્યોની અર્થી એક સાથે ઉઠતા ધોરાજી પંથકમાં ગમગીની છવાઈ ગઈ છે.