અંકુર સોસાયટીમાં પતિ સાથે ઝઘડો થતા ફાંસો ખાઈ લેનાર પત્નીનું મોત
રાજકોટ શહેરમાં જંગલેશ્વર વિસ્તારમાં અંકુર સોસાયટી મેઇન રોડ ઉપર ભવાની ચોકમાં રહેતી પરિણીતાએ પતિ સાથે ઝઘડો થતાં ગળેફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પરિણીતાએ સારવારમાં દમ તોડતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ જંગલેશ્વર વિસ્તારમાં અંકુર સોસાયટી મેઈન રોડ ઉપર આવેલા ભવાની ચોકમાં રહેતી પૂજાબેન દિનેશભાઈ શાહ નામની 33 વર્ષની પરિણીતા પોતાના ઘરે હતી. ત્યારે રાત્રિના આઠેક વાગ્યાના અરસામાં ગળેફાંસો ખાઈ લીધો હતો. પૂજાબેન શાહને બેભાન હાલતમાં તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન પરિણીતાએ દમ તોડતા પરિવારમાં અરેરાટી સાથે શોકની લાગણી પ્રસરી છે. આ ઘટના અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે ભક્તિનગર પોલીસને જાણ કરતા ભક્તિનગર પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો.
પ્રાથમિક પૂછપરછમાં પૂજાબેન શાહનો સાડા ચાર વર્ષનો પુત્ર ટ્યુશનમાંથી આવીને લેશન કરતો હતો. અને તેના અક્ષર ખરાબ થતા પૂજાબેન શાહે ખરાબ અક્ષર કરવા મુદ્દે માર માર્યો હતો. જેથી દિનેશ શાહે પુત્રને માર મારનાર પત્ની પૂજાબેન શાહને ફડાકો માર્યો હતો. જે બાબતે દંપતિ વચ્ચે ઝઘડો થતાં પૂજાબેન શાહે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે ભક્તિનગર પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.