મહિલા તબીબના વોટ્સએપનો પીઆઈ ખાચરે પ્રત્યુત્તર નહીં આપતા હતાશામાં આપઘાત કર્યો’તો
અમદાવાદ ગાયકવાડ હવેલી ક્રાંઈમ બ્રાંચ કચેરીમાં ગત તા. 6-3-2024ના રોજ ડો. વૈશાલી જોષીએ કરેલા આપઘાત કેસમાં પીઆઈ બી.કે. ખાચરે આગોતરા માટે કરેલી અરજીમાં સરકાર પક્ષે રજૂ કરેલા રીપોર્ટમાં ડો. વૈશાલી જોષીએ પી.આઈ. ખાચરને વોટ્સ એપમાં કરેલા મેસેજનો પ્રત્યુતર નહીં મળતા તે નિરાશ અને હતાશ થઈ ગઈ હતી અને મહિલા તબીબી વૈશાલીએ ક્રાઈમ બ્રાંચ કચેરીએ જઈ આપઘાત કર્યાનું ખુલ્યું છે. આ કેસની વધુ સુનાવણી છ દિવસ બાદ 24 જૂને થશે.
રાજ્ય સરકારે એમ પણ કહ્યું હતું કે પીઆઈ ખાચરનો ફોન જપ્ત કરી લેવામાં આવ્યો છે અ્ને છેલ્લા સાત મહિનાનો ડેટા લેવામાં આવ્યો છે. એ તબક્કે કોર્ટે એવી ટકોર કરી હતી કે ચાર મહિના બાદ હવે ફોનમાંથી શું મળશે? સરકારી વકીલે કોર્ટને માહિતી આપી હતી કે પીઆઈનો ફોન અને પાસપોર્ટ જમા લઇ લેવાયો છે. ત્રણ દિવસથી આ પ્રકરણની તપાસ ચાલુ છે. જ્યારે આ ઘટના બની હતી, ત્યારે પીઆઈ ઘટના સ્થળે હાજર નહોતા. આરોપીના ફોનમાંથી તપાસ અધિકારીએ ડેટા પેનડ્રાઈવમાં લઇ લીધો છે. જેમાં પાછળના સાત મહિનાનો ડેટા લેવામાં આવ્યો છે. સુનવણી દરમિયાન તપાસ અધિકારી મહિલા એસીપી કોર્ટમાં હાજર રહ્યા હતા.
મૃતકની મોટી બહેને ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન ખાતે 14મી માર્ચના રોજ ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યું હતું કે પોલીસ અધિકારી બી.કે. ખાચર સાથે ફરિયાદીની બહેનને પ્રેમ સંબંધ હતો. જે પ્રેમ સંબંધ પોલીસ અધિકારીએ તોડી નાખતા તે માનસિક તણાવમાં રહેતી હતી.
પ્રસ્તુત મામલે સરકારે કોર્ટને જણાવ્યું હતું કે ઘટના બની ત્યારથી પીઆઈ ગાયબ છે. મૃતકનો મોબાઈલ એફએસએલમાં મોકલ્યો છે, તેનો રિપોર્ટ આવવાનો બાકી છે. સીડીઆર મુજબ ઘટનાના દિવસે બંને વચ્ચે બે ફોન કોલ થયા હતા, તેની તપાસ જરૂૂરી છે. અરજદારના વકીલે દલીલ કરી હતી કે ફરિયાદીએ આઠ દિવસ વિલંબથી ફરિયાદ કરી છે. આરોપીની પોલીસ કસ્ટડીની કોઈ જરૂૂર નથી. પીઆઈ પોલીસ સમક્ષ ઉપસ્થિત થાય તો ધરપકડનો ડર છે. તેમનો સર્વિસ રેકોર્ડ ખરાબ થઈ શકે છે. તેમની પ્રતિષ્ઠા જોખમાઇ શકે છે.