આડાસંબંધની શંકાએ પત્નીનું ગળું કાપી પતિનો આપઘાતનો પ્રયાસ
મવડીપ્લોટના ઉદયનગરનો બનાવ: પતિ અને પત્ની બન્નેની હાલત ગંભીર, પ્રેમલગ્નના 13 વર્ષ પછી શંકાનો કીડો સળવળ્યો: માવતરે ગયેલ પત્નીના ઘરે જઇ છરીના ઘા ઝીંક્યા
શહેરના મવડી પ્લોટના ઉદયનગરમાં રહેતા અને શાકભાજીનો વેપાર કરતા યુવાને પ્રેમલગ્ન કરનાર પત્ની ઉપર આડાસંબંધની શંકા કરી પત્ની ઉપર તેના માવતરના ઘરે જઇ જીવલેણ હુમલો કરી ગળા અને પેટમાં છરીના ઘા ઝીંકી હત્યાનો પ્રયાસ કર્યા બાદ પોતે પણ ગળે છરી ફેરવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પતિ અને પત્ની બન્નેને સારવાર માટે સિવિલ હોસ્પીટલમાં ખસેડાયા હતા.બન્નેની હાલત ગભીર હોવાનું જાણવા મળ્યું છે.
મળતી વિગતો મુજબ મવડી પ્લોટ ઉદયનગર શેરી નંબર 14માં રહેતા અને શાકભાજીનો વેપાર કરતા મહેન્દ્રસિંહ તોગુભા જાડેજા (ઉવ 40)એ માવતરઅ ઘરે ગયેલી પોતાની પત્ની રસીલાબેન (ઉવ 39) ઉપર સાસુના ઘરે જઈ ગળા અને પેટના ભાગે છરીના ઘા ઝીંકી દીધા હતા. આ બનાવ બાદ મહેન્દ્રસિંહે તે જ છરી વડે પોતના ગળે ફેરવી દઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
પતિ અને પત્ની બન્ને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.બનાવની જાણ થતા માલવિયાનગર પોલીસ હોસ્પીટલે દોડી ગયી હતી.બન્નેના નિવેદન નોંધ્યા હતા. પોલીસનો પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે, ઉદયનગરમાં રહેતા મહેન્દ્રસિંહે 13 વર્ષ પૂર્વે રસીલાબેન હરેશભાઈ ચૌહાણ સાથે પ્રેમલગ્ન કર્યા હતા. લગ્ન જીવન દરમિયાન સાતનમાં એક પુત્ર અને એક પુત્રી છે. સાસુ સસરા હયાત ન હોય બન્ને ઉદયનગરમાં એકલા રહે છે. છેલ્લા 15 દિવસથી મહેન્દ્રસિંહ પત્ની રસીલાબેન ઉપર આડાસંબંધોની શંકા કરી અવારનવાર ઝગડા કરતો હતો અને મારકૂટ કરતો હતો. મહેન્દ્રસિંહ જુગાર રમવાની ટેવ ધરાવતો હોય આ બાબતે રસીલાબેને 8 દિવસ પૂર્વે મહિલા પોલીસમાં અરજી પણ કરી હતી. રસીલાબેન પતિના ત્રાસ ને કારણે માવતરના ઘરે રહેવા આવી ગઈ હતી. રસીલાબેનને અન્ય સાથે આડાસંબંધોની શંકા કરતા મહેન્દ્રસિંહ ગઈ કાલે સાંજે રસીલાબેન પાસે તેના માવતરને ત્યાં પહોચ્યો હતો અને ઝગડો કરી છરી થી હુમલો કરી હત્યાનો પ્રયાસ કર્યો હતો. પત્નીની હત્યાનો પ્રયાસ કરી મહેન્દ્રસિંહે તે જ છરી વડે પોતના ગળા ઉપર ફેરવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.પતિ અને પત્ની બન્નેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે જ્યાં બન્નેની હાલત ગભીર હોવાનું જાણવા મળ્યું છે.