ચૈતર વસાવાના ગઢ ડેડિયાપાડામાં ગુજરાતમાં સૌથી ઉંચુ મતદાન, ભરૂચ બેઠકનો જંગ રસાકસીભર્યો બન્યો
ગુજરાતમાં આમ આદમી પાર્ટી માટે હોટ સીટ ગણાતી ભરૂચ લોકસભા બેઠક ઉપર 2019ની ચુંટણી કરતા મતદાનમાં 4.50 ટકા જેવો ઘટાડો નોંધાયો છે. પરંતુ આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૈતર વસાવાના ગઢ ગણાતા ડેડીયાપાડા વિધાનસભા મત વિસ્તારમાં 85 ટકા જેવું ગુજરાતનું સૌથી ઉંચુ મતદાન જળવાઇ રહ્યું છે.
આદિવાસી મતદારોની ભરૂચ બેઠક જાળવી રાખવા ભાજપે તેના જુના જોગી મનસુખ વસાવાને ફરી ટીકીટ આપી હતી જયારે ઇન્ડીયા ગઠબંધનમાંથી આમઆદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને ટિકિટ આપવામાં આવી હતી. આ બેઠક ઉપર ગુરૂ-ચેલા જેવા બે આદિવાસી નેતાઓ વચ્ચે હાઇવોલ્ટેજ ચુંટણી જંગ જામ્યો હોવાથી સમગ્ર ગુજરાતની નજર આ બેઠક ઉપર મંડાયેલી છે.
ગઇકાલે થયેલ મતદાનની આખરી વિગતો મળતા ભરૂચ લોકસભા બેઠક ઉપ સરેરાશ 69 ટકા જેવું મતદાન નોંધાયું છે. જે 2019ની લોકસભાની ચુંટણીમાં નોંધાયેલ 73.23 ટકા મતદાન કરતા લગભગ 4.50 ટકા જેવું ઓછું છે.ભરૂચ લોકસભા મત વિસ્તારમાં ડેડીયાપાડા ઉપરાંત ઝઘડીયા, જંબુસર, કરજણ, વાગરા, ભરૂચ અને અંકલેશ્વર એમ સાત વિધાનસભા બેઠકો આવે છે. આ સાત પૈકી એકમાત્ર ચૈતર વસાવા જયાંથી ધારાસભ્ય છે તે બેઠક ઉપર 2019ની લોકસભા ચુંટણી જેટલું જ 64.68 ટકા જેવું મતદાન જળવાઇ હ્યું છે. જયારે બાકીની છ બેઠકો ઉપર મતદાનમાં સરેરાશ પાંચ ટકાનો ઘટાડો નોંધાયો છે.
ઇન્ડીયા ગઠબંધન અને ખાસ કરીને આમ આદમી પાર્ટીને આ બેઠક ઉપર મોટી આશા છે. સરકારે ચૈતર વસાવા સામે ગુનો દાખલ કરી જેલમાં પણ નાખ્યા હતા અને લોકસભાની ચુંટણી સમયે જ ચૈતર વસાવા જેલમાંથી જામીન ઉપર છુટયા હતા.
આ બેઠક ઉપ ભાજપના સૌથી જુના સાંસદ મનસુખ વસાવા સામે તેના જ એક સમયના ચેલા સમાન ચૈતર વસાવા સૌથી મોટો પડકાર સાબીત થઇ હ્યા છે. હવે આગામી તા.4 જુનના રોજ આવનાર પરિણામો ઉપર સૌની નજર મંડાયેલ છે. આ બેઠક ઉપર આમ આદમી પાર્ટી ખાતુ ખોલાવી શકે તો દેશભરમાં ડંકો વાગી જશે અને હારે તો ખાસ કાંઇ ગુમાવવાનું રહેતુ નથી. ધારાસભાની ચુંટણીમાં પણ ચૈતર વસાવાએ ડેડીયાપાડાની બેઠક જીતીને સૌનું ધ્યાન ખેંચ્યું હતું.