ગિરનાર પર પ્લાસ્ટિકની પ્રતિબંધિત વસ્તુઓ અંગે સ્પષ્ટતા કરવા સરકારને હાઇકોર્ટનો આદેશ
ગિરનાર પર્વત પરના મંદિરો ખાતે ગંદકી અને પ્લાસ્ટિકના દૂષણ મુદ્દે થયેલી જાહેરહિતની અરજીમાં હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ અનિરૂૂદ્ધ પી.માયીની ખંડપીઠે રાજ્ય સરકારને સવાલ કર્યો હતો કે, તંત્ર દ્વારા પ્લાસ્ટિકના વપરાશ પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકાયો છે, પરંતુ કઇ વસ્તુઓને પ્રતિબંધ હેઠળ આવરી લેવાઇ છે એની સ્પષ્ટતા થવી જરૂૂરી છે. તે સિવાય જે પ્લાસ્ટિકનો કચરો અગાઉથી ઠલવાયો છે એના નિકાલની શું વ્યવસ્થા છે તે અંગે પણ જવાબ આપવામાં આવે. આ કેસની વધુ સુનાવણી 10મી જુલાઇના રોજ મુકરર કરવામાં આવી છે.
રાજ્ય સરકાર તરફથી એડવોકેટ જનરલ કમલભાઇ ત્રિવેદીએ હાઇકોર્ટને જણાવ્યું હતું કે, હાઇકોર્ટ આદેશ મુજબ ગિરનાર ઇકો સેન્સિટિવ ઝોન ખાતે પ્લાસ્ટિક પર સંપૂર્ણ પણે પ્રતિબંધ મૂકવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ નિર્ણય હેઠળ 22 ગામને આવરી લેવાયા છે. પ્લાસ્ટિક બેગ, બોટલ્સ સહિતની તમામ વપરાશની પ્લાસ્ટિકની વસ્તુઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ખંડપીઠે સવાલ કર્યો હતો કે,આ ઝુંબેશમાં કેટલી સફળતા મળી છે? સરકારે કહ્યું હતું કે,વિવિધ ક્ષેત્રો દ્વારા આ પ્રતિબંધનો વિરોધ પણ કરવામાં આવ્યો છે. તેમ છતાં મોબાઇલ સ્ક્વોડ બનાવવામાં આવી છે. જેની બેઠક કરીને ગામડે ગામ જઇને પ્રતિબંધની સૂચના આપવામાં આવે છે. ખંડપીઠે સવાલ કર્યો હતો કે, પ્લાસ્ટિકની કઇ વસ્તુઓ પ્રતિબંધિત કરવામાં આવી છે. પ્લાસ્ટિકની ડોલ બંધ કરી દેવાશે તો ઉપાધિ થશે. જે પ્લાસ્ટિકનો ઉપયોગ કરીને ફેંકી દેવાય છે એના પર પ્રતિબંધ મૂકવો જોઇએ. જો સંપૂર્ણ બંધ કરી દેશો તો વિરોધ તો થશે. કોઇ દુકાન પ્લાસ્ટિકની વસ્તુઓ વેચતી હશે તો તે બંધ કરાશે. આવું ન થવું જોઇએ. ઉપયોગ કરીને ફેંકી દેવાતા પ્લાસ્ટિક ઉપર જ પ્રતિબંધ મૂકવો જોઇએ.
આ ઉપરાંત જે પ્લાસ્ટિકનો કચરો અગાઉ ફેંકાયો અને ભેગો થયો છે એના નિકાલની શું વ્યવસ્થા છે? સરકારે કહ્યું હતું કે,સ્ત્રપ્લાસ્ટિકનો કચરો ડમ્પિંગ સાઇટ પર ઠલવાય છે. કોર્ટે પૂછ્યું કે, શું એનું રિસાઇકલિંગ થાય છે? જો રિસાઇકલિંગમાં ન જાય તો મુશ્કેલી વધી જાય.આ કેસમાં એડવોકેટ અમિત પંચાલ દ્વારા આ જાહેરહિતની અરજીમાં એવી દાદ માગવામાં આવી હતી કે, ગિરનાર પર આવેલા દત્તાત્રેય અને અંબાજી મંદિર આસપાસ કચરા-ગંદકીના ઢગ થઇ ગયા છે. તેથી મંદિરની પવિત્રતા અને ભક્તોની અવરજવર અને સ્વાસ્થ્યને ધ્યાનમાં લઇ તંત્રને આદેશ કરી આ સ્થળથી તાકીદે સફાઇ કરવાનો આદેશ કરવો જોઇએ. મંદિરની નજીક કચરો ફેંકવા માટે ડસ્ટબીનની વ્યવસ્થા નથી, તેથી તંત્રે તે દિશામાં પણ કામ કરવું જોઇએ અને ભવિષ્યમાં પવિત્ર સ્થળોની સ્વચ્છતા જળવાય તે સુનિશ્ચિત કરવું જોઇએ.