મનપામાં વોર્ડ ઓફિસર સહિતની સીધી ભરતીને હાઈકોર્ટની બ્રેક
રાજકોટ મહાનગરપાલિકામાં ભરતીના નિયમોમાં અવાર નવાર શાસકો દ્વારા ફેરફારો કરવામાં આવી રહ્યા છે. જેમાં અનેક વખત રનીંગ કર્મ્રચારીઓ દ્વારા વિરોધ થતો હોય છે. તેવું પ્રકરણ ફરી એક વખત બનવા પામ્યું છે. વોર્ડ ઓફિસર, મેનેજર, સહિતની ભરતી માટે મનપાએ નવો નિયમ અમલમાં મુકી રનીંગ કર્મચારીને બઢતીનો લાભ ન આપતા 36 કર્મચારીઓ હાઈકોર્ટમાં ગયા હતાં અને બઢતી માટેની પરીક્ષા આપવા માટે સહિતની રજૂઆત કરેલ જેના પગલે હાઈકોર્ટે વચગાળાનો હુકમ આપી આ તમામ કર્મચારીઓની પરીક્ષા લઈ તેમના રિઝલ્ટ કવરમાં પેક રાખવા અને કોર્ટના આગલા ચુકાદા બાદ જે નિર્ણય લેવાય તે મુજબ ભરતી પ્રક્રિયા હાથ ધરવી તેવો ચુકાદો આપતા તંત્ર મુંઝવણમાં મુકાઈ ગયું છે.
મહાનગરપાલિકામાં ઉચી પોસ્ટ ઉપર ભરતી કરવા માટે તંત્ર દ્વારા બહારથી ઉમેદવારોના ઈન્ટરવ્યુ લેવામાં આવતા હોય છે. તેવી જ રીતે અલગ અલગ વિભાગમાં ફરજ બજાવતા અને અમુક સમય બાદ બઢતી મળવા પાત્ર હોય તે પ્રકારના કર્મચારીઓને પણ લાભ આપવામાં આવતો હોય છે. પરંતુ કોર્પોરેશને નવો નિયમ બનાવી વોર્ડ ઓફિસર તેમજ મેનેજર સહિતની ઉચ્ચ પોસ્ટ ઉપર બારોબાર ભરતી કરવાનો નિર્ણય લઈ હાલમાં ફરજ બજાવતા કર્મચારીઓની પરીક્ષા રદ કરી નાખતા હોબાળો બોલી ગયેલ અને 36 કર્મચારીઓ આ મુદદ્દે હાઈકોર્ટમાં રીટ કરી હતી જેમાં નિયમ મુજબ બઢતીનો ચાન્સ મળે અને પરીક્ષા આપી ઉચ્ચ હોદ્દા ઉપર નિમણુંક પામી શકાય તેવી રજૂઆત કરતા હાઈકોર્ટે વચગાળાનો ચુકાદો આપી તમામ કર્મચારીઓની પરીક્ષા લેવાનું હુકમ કર્યો છે અને પરીક્ષા બાદ તમામ કર્મચારીઓના રિઝલ્ટ બંધ કવરમાં રાખવાનો આદેશ કર્યો છે. તેવી જ રીતે હાલ કોર્ટમાં કેસ ચાલુ હોય ફાઈનલ ચુકાદો ન આવે ત્યા ંસુધી આ બંધ કવર ખોલવા નહીં અને આ ચુકાદામાં જે નક્કી થાય તે મુજબ ભરતી પ્રક્રિયા કરવાનો આદેશ કરવામાં આવ્યો છે.
આથી મહાનગરપાલિકાએ રદ કરેલ બઢતી માટેની પરીક્ષા હવે ટુંક સમયમાં લેવામાં આવે તેવી સંભાવના જોવાઈ રહી છે. મહાનગરપાલિકામાં ભરતી પ્રક્રિયા આમ તો નિયમ મુજબ થતી હોય છે. દર વખતે જૂના કર્મચારીઓને પરીક્ષા આપ્યા બાદ તેમના વિવાદ મુજબ અને કેટેગરી મુજબ બઢતીનો લાભ આપવામાં આવે છે પરંતુ આ વખતે મેલેરિયા વિભાગ તેમજ પર્યાવરણ વિભાગ સહિતના વિભાગમાં વર્ષોથી ફરજ બજાવતા અને બઢતીની રાહ જોતા કર્મચારીઓને અન્યાય થયો હોય તેવો નિયમ મનપાએ કરતા આ કર્મચારીઓએ કોર્ટનું શરણું લીધું હતું જેમાં તેમના તરફી ચુકાદો આવ્યો છે. પંરતુ હાલ કોર્ટે વચગાળાનો હુકમ આપેલ હોય ફક્ત તમામ કર્મચારીઓની પરીક્ષા લેવાની કાર્યવાહી હાથ ધરાશે ત્યાર બાદ કોર્ટ ફાઈનલ ચુકાદો આપશે તે મુજબ ભરતી કરાશે તેમ જાણવા મળેલ છે.
મામકાઓની ભરતી બનશે ભૂતકાળ
મહાનગરપાલિકાની મુખ્ય પોસ્ટ ઉપર ભરતી કરવામાં મોટી ગોબાચારી થતી હોવાનું અનેક વખત બહાર આવ્યું છે. રાજકીય ઓથ ધરાવતા તેમજ ખીસ્સા ગરમ કરીને અનેક લોકોને મહાનગરપાલિકામાં નકોરી મળી જાય છે તેવું પણ ચર્ચાતુ હોય છે. અને આથી જે તે વિભાગમાં નોકરી ઈચ્છુક ઉમેદવારો કે જેમની કેટેગરી પણ ઉચી હોય અને સારા માર્કસ સાથે ઉત્તીર્ણ થયા હોય તેમને નોકરી મળતી નથી આથી આ વખતે ડાયરેક્ટ ભરતીમાં હાઈકોર્ટે વચગાળાનો મનાઈ હુકમ આપ્યો છે અને બઢતી પાત્ર કર્મચારીઓની પરીક્ષા લેવાના આદેશ કર્યા છે જેના લીધે ઉચ્ચપોસ્ટ ઉપર થતી મામકાઓની ભરતી હવે કદાચ ભુતકાળ બની જશે તેવું લાગી રહ્યું છે.