રાજકોટમાં ગાયક કલાકાર સહિત ત્રણના હાર્ટફેઈલ
પરિણીતા અને બે આધેડ પોતપોતાના ઘરે બેભાન હાલતમાં ઢળી પડ્યા બાદ દમ તોડ્યો
રાજ્યભરમાં કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે હૃદય રોગના હુમલાની ઘટનાઓમાં પણ વધારો થતાં જોવા મળી રહ્યો હોય તેમ દરરોજ હૃદય રોગના હુમલાથી અનેક માનવ જિંદગીઓ કાળના ખપ્પરમાં હોમાઈ રહી છે ત્યારે રાજકોટમાં વધુ ત્રણ વ્યક્તિના હાર્ટ બેસી ગયા હોવાની ઘટના સામે આવી છે. જેમાં ગાયક કલાકાર સહિત ત્રણ વ્યક્તિના હૃદયરોગના હુમલાથી મોત નીપજતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટમાં સંત કબીર રોડ ઉપર આવેલી ભગીરથ સોસાયટીમાં રહેતા ગાયક કલાકાર ભરતભાઈ ચીમનભાઈ ત્રિવેદી નામના 52 વર્ષના આધેડ રાત્રીના અઢી વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતા ત્યારે તેમને હદયરોગનો હુમલો આવતા બેભાન હાલતમાં ઢળી પડ્યા હતા.
આધેડને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેમની સારવાર કારગત નીવડે તે પૂર્વે જ ફરજ પરના તબીબે મૃત જાહેર કરતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે. પ્રાથમિક પૂછપરછમાં મૃતક ભરતભાઈ ત્રિવેદી બે ભાઈમાં મોટા હતા અને ધૂન ભજનના કલાકાર હતા.
બીજા બનાવમાં કોઠારીયા મેઇન રોડ ઉપર આવેલા મેહુલનગરમાં રહેતા દેવેનભાઈ દિલીપભાઈ જીજવાડીયા નામના 49 વર્ષના આધેડ પોતાના ઘરે હતા ત્યારે બપોરના બેભાન હાલતમાં ઢળી પડ્યા હતા. આધેડને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસી આધેડનું હદયરોગના હુમલાથી મોત નીપજયુ હોવાનું જાહેર કરતાં પરિવારમાં શોકની લાગણી પ્રસરી હતી. પ્રાથમિક પૂછપરછમાં મૃતક દેવેનભાઈ બે ભાઈમાં મોટા હતા અને તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી હોવાનું જાણવા મળ્યું છે.
આ ઉપરાંત ત્રીજા બનાવમાં મોરબી રોડ ઉપર સેટેલાઈટ ચોક પાસે આવેલી રાજલક્ષ્મી સોસાયટીમાં રહેતા ભાનુબેન મુકેશભાઈ સોલંકી નામના 48 વર્ષના પ્રોઢા રાત્રિના દસેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતા ત્યારે તેમને અચાનક હદયરોગનો હુમલો આવ્યો હતો. ભાનુબેન સોલંકીને તાત્કાલિકમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું મોત નિપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. ઉપરોક્ત બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.