રાજકોટમાં વધુ ત્રણ જિંદગીને ભરખી જતો હૃદયરોગનો હુમલો
શાપરમાં કારખાનામાં કામ કરતા વૃદ્ધ સહિત ત્રણ બેભાન હાલતમાં ઢળી પડતાં મોત
રાજકોટ સહિત રાજ્યભરમાં હાર્ટએટેકના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે શહેરમાં હાર્ટએટેક વધુ ત્રણ જીંદગી ભરખી ગયો છે. જેમાં શાપરમાં કારખાનામાં કામ કરતા વૃદ્ધ, ભારતનગરમાં આધેડ અને સીતારામ પાર્કમાં વૃદ્ધનું શ્વાસ થંભી જતાં મોત નિપજ્યું હતું. આધેડ અને વૃદ્ધના મોતથી બંને પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, શાપર વેરાવળમાં આવેલ કૈલાશધારા પેકેજીંગ નામના કારખાનામાં કામ કરતા રામબચ્ચન મંગલપ્રસાદ નામના 60 વર્ષના વૃદ્ધ બપોરના બે વાગ્યાના અરસામાં કારખાનામાં કામ કરતા હતા ત્યારે અચાનક બેભાન હાલતમાં ઢળી પડ્યા હતા. વૃદ્ધને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જયા વૃદ્ધનું હૃદયરોગના હુમલાથી મોત નીપજ્યું હોવાનું તબીબોએ જાહેર કર્યું હતું.
બીજા બનાવમાં આજીડેમ ચોકડી પાસે આવેલા ભારતનગરમાં રહેતા જગાભાઈ વિહાભાઈ સાંબડ (ઉ.52) નામના આધેડ પોતાના ઘરે હતા. ત્યારે અચાનક હદયરોગનો હુમલો આવતા બેભાન થઈ જતાં તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસી મરણ ગયાનું જાહેર કર્યું હતું. તબીબોએ આધેડનું હાર્ટએટેકથી મોત થયાનું પ્રાથમિક અભિપ્રાય આપ્યો હતો. પ્રાથમિક તપાસમાં મૃતક આધેડ બે ભાઈ બે બહેનમાં મોટા હતા. અને તેમને સંતાનમાં બે પુત્ર અને બે પુત્રી છે.
જ્યારે ત્રીજા બનાવમાં મોરબી રોડ ઉપર આવેલ સીતારામ પાર્કમાં મેઈન રોડ પર રહેતા કુશાલદાસ નટવરલાલ અગ્રાવત (ઉ.70) નામના વૃદ્ધ ગઈકાલે સાંજે ઘરે હતા ત્યારે છાતીમાં દુ:ખાવો ઉપડતાં બેભાન થઈ જતાં તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાતા મોત નિપજ્યું હતું. તબીબોએ હાર્ટ એટેકથી મોત નિપજ્યાનું જણાવતાં પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ જવા પામી છે. પ્રાથમિક તપાસમાં મૃતક ત્રણ ભાઈ પાંચ બહેનમાં મોટા હતા. અને તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી હોવાનું જાણવા મળ્યું છે. ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.