હાર્ટએટેક: એસટીના નિવૃત્ત કર્મચારીના જીવનનો એસ.ટી. બસમાં જ આવ્યો અંત
રાજકોટ સહિત રાજ્યભરમાં હાર્ટએટેકના બનાવો અટકવાનું નામ લેતા નથી ત્યારે વધુ એક બનાવમાં એસ.ટી.ના નિવૃત કર્મચારીના જીવનનો એસટી બસમાં જ અંત આવી ગયો હતો. સુરેન્દ્રનગરના પ્રૌઢ એસટી બસમાં બેસી રાજકોટ લોકિકે આવાત હતા ત્યારે પારવેડી ચોકમાં ચાલુ બસે બેભાન થઇ જતાં મુસાફરો સાથેની બસ સિવિલ હોસ્પિટલે પહોંચી હતી.
જાણવા મળતી વિગત મુજબ સુરેન્દ્રનગરમાં પીએનટી ર્ક્વાટર સામે રામ સોસાયટીમાં રહેતા ઇન્દ્રજીતસિંહ હેમતસિંહ વાળા (ઉ.વ.66) નામના પ્રૌઢે આજે સવારે સુરેન્દ્રનગરથી એસટી બસમાં બેસી રાજકોટ લૌકિકે આવતા હતા ત્યારે બસ પારવેડી ચોકમાં પહોંચતા તેઓ ચાલુ બસે જ બેભાન થઇ ગયા હતા જેથી બસના ચાલકે તાત્કાલીક મુસાફરો સાથેની બસ સિવિલ હોસ્પિટલ ખસેડી હતી. જ્યાં તબીબો દ્વારા તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. તબીબોએ હાર્ટએટેકથી મોત નીપજ્યાનો પ્રાથમિક અભિપ્રાય આપ્યો હતો.
પ્રાથમિક તપાસમાં મૃતક પ્રૌઢ બે ભાઇ ત્રણ બહેનમાં નાના અને તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી હોવાનું જાણવા મળ્યું છે. તેઓ અગાઉ એસટીમાં ડ્રાઇવર તરીકે નોકરી કરતા હતા અને હાલમાં નિવૃત હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી બી ડિવીઝન પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પિટલે દોડી જઇ જરૂરી કાર્યવાહી કરી વધ તપાસ હાથ ધરી છે.