હાર્ટએટેક: પોલીસ ભરતીની તૈયારી કરતા યુવક અને શિક્ષકનું હૃદયરોગના હુમલાથી મોત
રાજ્યભરમાં કાળજા ગરમી વચ્ચે હૃદયરોગના હુમલાએ ઉપાડો લીધો હોય તેમ દરરોજ હૃદયરોગના હુમલાથી અનેક માનવ જિંદગીઓ કાળના ખપ્પરમાં હોમાઈ રહી છે ત્યારે રાજકોટમાં પોલીસ ભરતીની તૈયારી કરતો યુવાન રનીંગ કરીને આવ્યા બાદ અને દ્વારકાના સલાયામાં ફરક બજાવતા શિક્ષક મોરબીના ખાનપર ગામે વેકેશન કરવા આવતા હદયરોગના હુમલાથી મોત નિપજતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટમાં મવડી મેઈન રોડ ઉપર આવેલી શ્રીનાથજી સોસાયટીમાં રહેતો વિશાલ અશોકભાઈ કોલીયા નામનો 26 વર્ષનો યુવાન પોતાના ઘરે હતો. ત્યારે બેભાન હાલતમાં ઢળી પડ્યો હતો. યુવાનને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે યુવાનનું હદયરોગના હુમલાથી મોત નીપજ્યું હોવાનું જાહેર કરતા પરિવારમાં કરૂણ કલ્પાંત સર્જાયો હતો. પ્રાથમિક પૂછપરછમાં મૃતક યુવાન પોલીસ ભરતીની તૈયારી કરતો હતો. અને યુવાન રનિંગ કરી ઘરે પરત ફર્યો હતો. ત્યારે હદયરોગનો હુમલો આવતા ઢળી પડ્યો હોવાનું જાણવા મળ્યું છે.
આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં મોરબી તાલુકાના ખાનપર ગામે રહેતા અને દ્વારકા જીલ્લાના સલાયા ગામે સરકારી શિક્ષક તરીકે ફરજ બજાવતા રાહુલકુમાર જીવણભાઈ ડાવેરા (ઉ.વ.29) પોતાના ઘરે બે દિવસથી આવ્યા હોય ત્યાં અચાનક છાતીમાં દુ:ખાવો ઉપડતા યુવકને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો જ્યાં તબીબે તપાસી મૃત જાહેર કર્યા હતા અને યુવકનું હાર્ટ એટેકથી મોત થયાનું પ્રાથમિક તારણ મુજબ જાણવા મળ્યું હતું. ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.