એલન ઈન્સ્ટિટ્યૂટમાં આરોગ્યના દરોડા, છાત્રોને પીરસાતો હતો અખાદ્ય ખોરાક
રૂા. એક લાખનો દંડ ફટકારી સંતોષ માની લેતું તંત્ર
અમદાવાદના શિલજમાં આવેલી એલન ઇન્સ્ટિટ્યુટમાં આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા હતા, જ્યા કેન્ટીનમાં તપાસ દરમિયાન ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે. આરોગ્ય વિભાગની ટીમોને ફરિયાદ મળી હતી કે કેન્ટીનમાં અખાદ્ય ખોરાક રાખવામાં આવે છે અને વિદ્યાર્થીઓને અખાદ્ય ખોરાક પિરસવામાં આવે છે.
ફરિયાદ આધારે કાર્યવાહી કરતા કેન્ટીનમાંથી મોટા પ્રમાણમાં સડેલા ટામેટા મળી આવ્યા હતા, એટલું જ નહીં કેન્ટીનમાં ગંદકીનું સામ્રાજ્ય પણ જોવા મળ્યું હતું, તો કેટલાક પેકેટ એક્સપાયરી ડેટ વગરના મળી આવ્યા હતા. આરોગ્ય વિભાગની પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે કેન્ટીન લાયસન્સ વગર જ ચલાવવામાં આવતી હતી. વિદ્યાર્થીઓની ફરિયાદ છે કે અનેક રજૂઆતો બાદ પણ કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી.
ઉલ્લેખનીય છે કે, અગાઉ વિદ્યાર્થીઓએ અનેકવાર સત્તાધીશોને રજૂઆત કરી હતી. જોકે વિદ્યાર્થીઓની ફરિયાદ મુદ્દે સંચાલકોએ આંખ આડા કાન કર્યા છે, વિદ્યાર્થીનીઓની ફરિયાદ છે કે અખાદ્ય ખોરાક આરોગવાથી તેઓના આરોગ્ય સામે પણ ખતરો પેદા થયો હતો. આરોપ એ પણ છે કે જમવામાં જીવજંતુ પણ નીકળે છે.
વિદ્યાર્થીઓની ફરિયાદ અને પ્રથમ દ્રષ્ટિએ આરોગ્ય સાથે ચેડા જોવા મળતા આરોગ્ય વિભાગે મોટી કાર્યવાહી કરી છે અને એલન ઇન્સ્ટિટ્યુટને એક લાખનો દંડ ફટકાર્યો છે. વિદ્યાર્થીઓની ફરિયાદ મળી, તંત્રએ કાર્યવાહી કરી, પરંતુ અહીં સવાલ એ સર્જાય છે કે શું એક લાખનો દંડ કરવાથી શું સ્થિતિ સુધરી જશે, અત્યાર સુધી વિદ્યાર્થીઓના આરોગ્ય સાથે ચેડા થયા તેના માટે કોણ જવાબદાર છે?