રાજકોટમાં ગુલિયા ગેંગનો ફરી આતંક : યુવક પર જાહેરમાં હુમલો
આરોપી ગુલિયા સાથે ચાલતા મન દુ:ખને પગલે આરોપીએ ઘમકી આપી હતી કે, ભગવતીપરામાં રહેવું હોય તો અમે કહીએ એટલું જ કરવાનું
જમીન-મકાનના ધંધાર્થીના બંન્ને પગ અને હાથ ભાંગી નાખ્યા, પાંચ આરોપીઓ વિરુદ્ધ કાવતરુ અને હુમલા સહિતની કલમ હેઠળ નોંધાતો ગુનો
રાજકોટમાં છેલ્લા ઘણા સમયથી અનેક ગેંગ વિરુદ્ધ પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરી ગુજસીટોકના ગુના હેઠળ જેલમાં ધકેલી દીધી છે.ત્યારે રાજકોટ શહેરના ભગવતીપરામાં ગુલીયા ગેંગે વધુ એકવાર લખણ ઝળકાવ્યા છે.ભગવતીપરામાં સુખસાગર હોલ પાસે જમીન મકાનના ધંધાથી પર જાહેરમાં જ ધોકા હુમલો કર્યો હતો.બનાવ સ્થળે લોકોના ટોળાં એકત્ર થઈ ગયા હતા.આ મામલે બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.
વધુ વિગતો મુજબ,ભગવતી પરામાં આવેલા અયોધ્યા પાર્કમાં રહેતા મોઇનભાઇ અનવરભાઈ જુણેજા(ઉ.વ.27)એ નામચીન શખ્સોમાં ગુલમહમદ ઉર્ફે ગુલીયો ઈબ્રાહીમ મોડ,તેમના ભાઈ નાસીર ઇબ્રાહીમ મોડ,સલીમશા હનીફશા શાહમદાર,સદામ હનીફશા શાહમદાર અને સાવન મીઠા પરમાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા બી ડિવિઝનના પીએસઆઈ શેખ અને સ્ટાફે વધુ તપાસ શરૂૂ કરી છે.મોઇને ફરિયાદમાં જણાવ્યું હતું કે,મારે સુખ સાગર હોલ પાસે સબર નામની જમીન મકાનની ઓફીસ આવેલી છે.રાત્રીના હું મારી સબર નામની ઓફીસે હતો અને ત્યાંથી મારા ઘરે જવા માટે મેં આ મારી ઓફીસ બંધ કરી ઓફીસની બાજુમાં દૂધની ડેરી આવેલ હોય ત્યાંથી દૂધની થેલી લઇ હું ત્યાંથી મારા ઘરે જવા માટે એકટીવા તરફ આવેલ ત્યારે પાછળથી અચાનક ત્રણ જણા આવ્યા અને આ ત્રણેય જણા કે જેમાં સલીમશા હનીફશા શાહમદાર,સદામ હનીફશા શાહમદાર અને સાવન મીઠા પરમારે ધોકા પાઇપ વડે હુમલો કર્યો હતો.
હું સુખસાગર હોલ પાસેની ગલીમાં પહોચતા ત્યાં પડી ગયેલ જેથી આ ત્રણેયે આડેધડ પાઇપ અને લાકડીના ઘા ઝીંકી દીધા હતા.તે પૈકી સલીમશા મને કહેતો હતો કે તને ગુલીયા સાથે દુશ્મની બહુજ મોંઘી પડશે તેમ કહી મને આડેધડ માર મારી ત્રણેય ત્યાંથી નાસી ગયા હતા.ત્યાંથી હોસ્પિટલમાં ખસેડતા ત્યાં બંને પગ અને હાથમાં ફ્રેક્ચર હોવાનું જાણવા મળ્યું હતું.
પાંચેક મહીના પહેલા આ ભગવતીપરામાં રહેતા ગુલમહંમદ ઉર્ફે ગુલીયો ઇબ્રાહીમભાઈ મોડના દીકરો આફતાબ ઉર્ફે કારીયો અને મહંમદ હુશેન પઠાણ વચ્ચે કોઇ બાબતે ઝઘડો થતા જેથી આ ગુલમહં મદ ઉર્ફે ગુલીયો આ મહંમદ હુશેન પઠાણને માર મારતા હોય પરંતું આ મહંમદ મારો તથા મારા ભાઈ માહીદ અનવર જુણેજાનો મીત્ર હોવાના નાતે અમે મહંમદ હુશેનના સપોર્ટમાં રહ્યા ત્યાથી આ ગુલમહંમદ ઉર્ફે ગુલીયો અમારો વિરોધી થઇ ગયો હતો અને બાદમાં ચારેક માસ અગાઉ આ ગુલમહંમદ ઇબ્રાહીમ મોડ તથા તેનો નાનો ભાઇ નાસીર ઈબ્રાહીમ મોડ બંન્ને જણાએ મને મારી દુકાને આવી ગાળો આપી હતી અને કહેલ કે, ભગવતીપરામાં રહેવુ હોય તો અમો કહીએ તેમજ કરવુ પડશે તેમ કહી જતા રહ્યા હતા અને ત્યાથી આ ગુલીયો તથા તેના ભાઈ નાસીર સાથે મારે મનદુ:ખ ચાલતુ હતું.
ગુલિયાના કહેવાથી આરોપી સાજને મોઇન પર અગાઉ એટ્રોસિટીની ફરિયાદ કરી હતી
ઇજાગ્રસ્ત મોઇને જણાવ્યું હતું કે,મનદુ:ખના કારણે આ ગુલીયો અને તેમના ભાઇના કહેવાથી સાજન મીઠા પરમારે મારા ઉપર એટ્રોસીટી ની ફરીયાદ કરી હતી.તે બાદ પણ હું આ ગુલીયા અને તેમના ભાઈ નાસીરના શરણે થયો નહીં અને ત્યાથી આ બંન્ને ભાઇઓ શારીરીક નુકશાન પહોંચાવાની ફીરાકમાં હતા.જેથી આ બંનેના કહેવાથી આ હુમલો થયો હતો.