કોઠારિયામાં લગ્નના બે મહિનામાં યુવાનનો ગળેફાંસો ખાઇ આપઘાત
કોઠારીયા ગામમાં ગોપાલ હેરીટેઝ સરકારી સ્કૂલની પાસે રહેતા યુવાને ગળેફાંસો ખાઇ આપઘાત કરી લેતા આહિર પરિવારમાં શોક છવાયો છે. આ ઘટનામાં યુવાનના ફેબ્રઆરીમાં જ લગ્ન થયા હતા. આપઘાત પાછળનું કારણ જાણવા તજવીજ શરૂ કરવામાં આવી છે.બનાવની વધુ વિગતો અનુસાર, કોઠારીયા ગામમાં ગોપાલ હેરીટેઝમાં રહેતા અર્જુન હરેશભાઇ ડવ (આહીર) (ઉ.વ.22)નામના યુવાને પોતાના ઘરે ગઇકાલે ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. તેમને સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે મૃત જાહે કર્યા હતા.
આ મામલે આજીડેમ પોલીસના હેડકોન્સ્ટેબલ એચ.આર.સોલંકી અને સ્ટાફે કાગળો કર્યા હતા. પોલીસમાંથી જાણવા મળ્યું હતુ કે, અર્જુન ત્રણ બહેનનો એકનો એક ભાઇ હતો તેમના પિતા એસટીમાં ડ્રાવઇર છે. પોતે કારખાનમાં નોકરી કરી પરિવારને મદદરૂપ થતો હતો તેમજ ફેબ્રુઆરીમાં તેમના લગ્ન કરવામાં આવ્યા હતા. તેમની પત્નીનું નામ દિપાલીબેન છે. આ અંગે અર્જુનના આપઘાતનું કારણ જાણવા આજીડેમ પોલીસે તપાસ જારી રાખી છે.