પેઢીનામાની સત્તા તલાટીને અપાતા હાઇકોર્ટમાં રીટ
- સરકારનો પરિપત્ર રદ કરવા માગણી, ભ્રષ્ટાચાર અને હાલાકી વધવાનો દાવો
ગુજરાત રાજયમાં તલાટીઓને પેઢીનામું બનાવવાની સત્તા આપવા અંગેના સરકારના વિવાદીત પરિપત્રને આખરે ગુજરાત હાઇકોર્ટમાં પડકારવામાં આવી છે. સરકારના વિવાદીત નિર્ણયને લઇ નાગરિકોની હાલાકી વધવાની, ભ્રષ્ટાચારને ઉત્તેજન મળવાની અને કોઈ પારદર્શકતા નહીં જળવાય તેવી દહેશત વ્યકત કરી સરકારના પરિપત્રનેતાત્કાલિક અસરથી ગેરકાયદે અને રદબાતલ ઠરાવવારિટ અરજીમાં દાદ માંગવામાં આવી છે.સરકારના આ પ્રકારના નિર્ણયના કારણે તલાટી કક્ષાના અધિકારીઓ અરજદારો સાચી હકીકત કે વિગતો જણાવે તો તેવા કિસ્સામાં ખોટી ફરિયાદ અને કાનૂની કાર્યવાહીનો નાહકનો ભોગ બને તેવી પરિસ્થિતિનું પણ નિર્માણ થયુ હોવાના પરિપત્રની અમલવારી પર રોક લગાવવા માંગણી કરવામાં આવી છે.
તલાટીઓને પેઢીનામું બનાવવાની સત્તા આપતાં સરકારના 2022ના નિર્ણયને પડકારતી રિટ અરજીમાં એ મતલબના મુદ્દા ઉઠાવાયા છે કે, સરકારે તેના આ પરિપત્ર મારફતે નાગિરકોને પોતાનું વતન, રહેઠાણ કે જમીન જયાં આવેલ હોય ત્યાં પેઢીનામું બનાવવાની જોગવાઈ કરતાં મૂળ જમીન મહેસૂલ અધિનિયમની જોગવાઇઓનો છેદ ઉડાડી નાંખવામાં આવ્યો છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં જમીનના કિસ્સાઓમાં તલાટી ક્રમ મંત્રીના પેઢીનામાના આગ્રહના કારણે તલાટી કક્ષાએ પ્રક્રિયા વિલંબિત થાય છે અને નાગરિકોને ધક્કા ખાવાનો વારો આવતો હોય છે.
અરજદારપક્ષ તરફથી ઉદાહરણ ટાંકતાં જણાવ્યું કે, જો કોઈ અરજદાર અમદાવાદના વતની હોય અને તેણે વડોદરામાં જમીન ખરીદી હોય તો તે જયાં જમીન ખરીદી હોય ત્યાં પેઢીનામું કરવા જાય પરંતુ ત્યાં બની શકે કે, તેને કોઇ ઓળખતું ના હોય અને પંચો સહીઓ કરવા તૈયાર ના થાય ત્યારે બોગસ પંચો અને સાક્ષીઓ ઉભા કરી પેઢીનામું તૈયાર થવાની દહેશત અને શક્યતા વધી જાય છે. વળી, આવા ગેરકાયદે કૃત્યને લઈ ગુનાહિત પ્રવૃત્તિ અને ભ્રષ્ટાચારને પણ પ્રોત્સાહન મળશે.
હવે તલાટીઓને સત્તા અપાવાના કારણે ઘણા પ્રશ્નો ઉદભવ્યા છે. એક તો તલાટી કમ મંત્રીની દર ત્રણ વર્ષે બદલી થતી હોય છે. હવે જો કોઈ અરજદારે પેઢીનામાના ફોર્મમાં સાચી હકીકત કે પરિવારના નામોછૂપાવે તો પાછળથી તલાટી વિરૂૂધ્ધ ફરિયાદ, કેસ થાય અને તેને ટ્રાયલ સહિતની મુશ્કેલીઓનો સામનો કરવો પડે તેવી પણ સ્થિતિ બની રહી છે.