આમા કેમ થાય ટ્રાફિક સમસ્યા હળવી? પોલીસ અધિકારીઓ રાસોત્સવમાં વ્યસ્ત, રોડ પર લોકો ત્રસ્ત!
ટ્રાફિક વ્યવસ્થા સુદ્ઢ બનાવવા કોંગ્રેસની પોલીસ કમિશનરને રજૂઆત
શહેરમાં નવરાત્રીના પ્રથમ દિવસે મોટાભાગના વિસ્તારોમાં મુખ્ય-રોડ-રસ્તા પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતા વાહન ચાલકો, રાહદારીઓ અકળાયા હતા. શહેરમાં સુદ્ઢ ટ્રાફિક-વ્યવસ્થા ગોઠવી, પ્રજાની હેરાનગતિ હલ કરવામાં આવે તેવી માંગ કરતી રજુઆત શહેર કોંગ્રેસના પ્રમુખ અતુલ રાજાણીએ પોલીસ કમિશરને કરી છે.
રજુઆતમાં કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું છે કે, રાજકોટમાં પોલીસ અધિકારીઓ રાસોત્સવમાં રહ્યા અને શહેરમાં ઠેર ઠેર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા અને લોકોને ભારે હેરાનગતિનો સામનો કરવો પડ્યો હોવાનો કોંગ્રેસનો આક્ષેપ છે.
નવરાત્રીના પ્રારંભે પ્રથમ નોરતેજ રાજકોટના રૈયા રોડ, મોટા માવા સ્મશાન પાસે, 150 ફૂટ રીંગ રોડ, વિરાણી હાઈસ્કૂલ પાસે ટાગોર રોડ સહિતના શહેરના જે વિસ્તારોમાં અર્વાચીન રાસોત્સવ નું આયોજન હાથ ધરવામાં આવેલ છે તે વિસ્તારોમાં ટ્રાફિકમાં ભારે અંધાધુંધી અને અરાજકતા સર્જાઇ હતી તેવું જાણવા મળે છે. અર્વાચીન રસોત્સવના આયોજનના તમામ રસ્તાઓ અને આજુબાજુના ચોક ખાતે કલાકો સુધી લોકોને ટ્રાફિક માંથી નીકળવા માટે રાહ જોવી પડી હતી. ઇમરજન્સી વાહનો અને એમ્બ્યુલન્સ અને દર્દીઓ પણ ફસાયા હોવાનું જાણવા મળે છે.
રાજકોટમાં અપૂરતો ટ્રાફિક પોલીસ સ્ટાફ અને ટ્રાફિક વોર્ડનને પગલે ખેલૈયાઓ અને તેની સાથે આવેલા પરિવારોએ પ્રથમ દિવસે જ હાલાકી વેઠવી પડી હતી. શહેરમાં આઇવે પ્રોજેક્ટ હેઠળ કેમેરાઓ હોવા છતાં જે સ્થળે ટ્રાફિકજામ થયો હોય તે સ્થળે ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને ટ્રાફિક ની ટીમ મોકલવાને બદલે ટ્રાફિક પોલીસ દ્વારા તમાશો જોવામાં આવ્યો હોય એવું જાણવા મળે છે.
નવરાત્રી દરમિયાન પ્રથમ દિવસે અંધાધૂંધી ને પગલે નવરાત્રીના તમામ દિવસો દરમિયાન રાજકોટ શહેર ટ્રાફિક પોલીસમાં વધુ સ્ટાફ ફાળવી અને પૂરતા ટ્રાફિક વોર્ડન અને હોમગાર્ડ જવાનોની ટ્રાફિકમાં મદદ લઈ જે જગ્યાએ મોટા અર્વાચીન રાસોત્સવ થાય છે ત્યાં ટ્રાફિક નિયમન જાળવી ટ્રાફિક વ્યવસ્થા સુદ્રઢ બનાવવા રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણીએ રાજકોટ શહેર પોલીસ કમિશનરને પત્ર પાઠવી રજૂઆત કરી છે.