સૌરાષ્ટ્રની બાકી ચાર બેઠકોમાં કોને લાગશે લોટરી? વિવિધ નામો વહેતા
- અમરેલીમાં કૌશિક વેકરિયા, બાવકુભાઇ ઉંધાડ, મુકેશ સંઘાણી, ભરત સુતરિયા ચર્ચામાં
- જૂનાગઢમાં કિરીટ પટેલ, ઋષિ ભારતીબાપુ, ગીતાબેન માલમ અને સાંસદ રાજેશ ચુડાસમા દાવેદાર
- ભાવનગરમાં ભારતીબેન શિયાળ, વિકલ્પે હીરાભાઇ સોલંકી, અંબરીશ ડેરના નામો વહેતા થયા
- સુરેન્દ્રનગરમાં ડો.મુંજપરા રિપીટ ન થાય તો કુંવરજી બાવળિયા, શંકરભાઇ વેગડ, ધારાસભ્ય પ્રકાશ વરમોરાના નામ મોખરે
ભાજપ દ્વારા લોકસભાની 26 પૈકીની જે 11 બેઠકો માટેના ઉમેદવારોનાં નામો જાહેર કરાયાં નથી, તેમાં ખાસ તો સૌરાષ્ટ્રની અમરેલી, જુનાગઢ, ભાવનગર અને સુરેન્દ્રનગરની બેઠકો માટે કોના માથે કળશ ઢોળાશે તેનું સસ્પેન્સ રાજકીય વર્તુળોમાં સર્જાયું છે. આ ચારેય બેઠકો માટેનાં નામો નહીં જાહેર થવા પાછળનાં અનેક પરિબળો-કારણો રહ્યાં છે.
અમરેલીનું રાજકારણ પહેલેથી અટપટું રહ્યું છે. પાટીદાર સમુદાયના પ્રભુત્વવાળા ઇલાકા પર સુરતના હીરાની ચમક સાથેના અને પાણીદાર નેતાની પસંદગી તેને માટે થશે. સુરતનું પ્રભુત્વ અમરેલી પર રહેશે. ત્રણ ટર્મથી ચૂંટાતા ભાજપના નારણભાઇ કાછડિયાને જો પસંદ કરવાના હોત, તો પાર્ટીએ પહેલી યાદીમાં જ નામ આપી દીધું હોત. પરંતુ એમના નામની પસંદગી હાલ થાય એવું નથી એમ મોવડીમંડળના વલણ પરથી લાગે છે. વળી એમની સામે પક્ષમાં ભારે અસંતોષ છે. અમરેલી એ પાટીદાર સમુદાયનો ગઢ છે. એ જોતાં પાટીદાર ઉમેદવારની પસંદગી જ થાય એમ છે. તેમાં અમરેલીના ભાજપના હાલના ધારાસભ્ય અને વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરિયાનું નામ ચર્ચામાં છે. એ ઉપરાંત જૂના અને જાણીતા બાવકુભાઇ ઉંધાડને મેથે કળશ ઢોળાય તો પણ નવાઇ નહીં. ઇફ્કોના ચેરમેન દિલીપ સંઘાણીના ભાઇ મુકેશ સંઘાણીનું નામ પણ લેવાઇ રહ્યું છે. માનો કે બિન પાટીદાર પસંદ કરવાના થાય તો અમરેલી જિલ્લા પંચાયતના હાલના પ્રમુખ ભરત સુતરિયાનું નામ પણ વિચારાઇ શકે છે.
જુનાગઢની બેઠક દરેક ચૂંટણી વખતે ડખામાં જ રહેતી આવી છે. વર્તમાન સાંસદ અને કોળી સમાજના રાજેશ ચુડાસમાને ફરીથી ટિકિટ નહીં મળે એ તો સ્પષ્ટ થઇ ચુક્યું છે. તેનું એક મોટું કારણ ડો. અતુલ ચગના આપઘાત કેસમાં રાજેશભાઇ અને તેમના પિતાની સામે થયેલી ક્રિમિનલ ફરિયાદ છે. તેમને બદલે હવે કોણ-તેની ચાલીલ રહેલી ચર્ચામાં જોઇએ તો કોળી સમાજની વ્યક્તિને માથે જ કળશ ઢોળાય એવું જ્ઞાતિ સમીકરણો જોતાં લાગે છે.
આમ છતાં જુનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ અને માર્કેટિંગ યાર્ડના ચેરમેન કિરીટ પટેલનું નામ સ્ટ્રોન્ગ સમાય છે. તેઓ અમિતભાઇ શાહની પણ નજીક છે. રાજ્ય વિધાનસભાની ચૂંટણી વખતે વિસાવદરની બેઠક પરથી તેમનું નામ બોલાતું હતું, પણ એ વખતે તેમને લોકસભા માટેનો નિર્દેશ અપાયો હોઇ તેઓ પક્ષમાં અંદર રહીને સતત કાર્યરત રહ્યા હતા. એ જોતાં કિરીટ પટેલ મજબૂત દાવેદાર મનાય છે. જો જુનાગઢ માટે કોળી ઉમેદવારની જ પસંદગી કરવાની થાય તો ભારતી આશ્રમના ઋષિ ભારતી બાપુનું નામ પણ આગળ આવી રહ્યું છે. કોળી સમાજ માટે તેમની કામગીરી સવિશેષ રહી છે.ઉપરાંત સશક્ત મહિલા કોળી નેતા ગીતાબેન માલમનું નામ પણ લેવાઇ રહ્યું છે.
ભાવનગરની બેઠક માટે જે રીતે કોંગ્રેસ અને આમઆદમી પાર્ટી વચ્ચે થયેલી સમજુતીના ભાગ રૂૂપે આમઆદમી પાર્ટીના બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાની પસંદરી કરાઇ છે, તેને કારણે ભાજપ માટે આ બેઠક પર કોળી ઉમેદવારની અનિવાર્યતા ઊભી થઇ ગઇ છે. ભાવનગરનાં હાલનાં લોકસભાનાં સભ્ય અનેકોળી સમુદાયનાં ભારતીબેન શિયાળ આમ તો સ્વીકૃત ઉમેદવાર છે, પણ બીજા કોઇ કોળી ઉમેદવારને મૂકવાના થાય તો તેમને બદલવાની પણ પૂરી સંભાવના છે. માનો કે ભારતીબેનની પસંદગી ન થઇ તો રાજુલાના ધારાસભ્ય હીરાભાઇ સોલંકીનું નામ ચર્ચામાં છે. એનું કારણ હાલના કોંગ્રેસના ધારાસભ્ય અમરીશ ડેર ભાજપમાં જોડાય એવી પૂરી સંભાવના છે. જો તેમ થાય તો હીરાભાઇને ભાવનગરની લોકસભાની બેઠકની ટિકિટ અપાવાની સંભાવના છે. ભાવનગરની બેઠક પર કોળી સમુદાયનું પ્રભુત્વ હોઇ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાને પોરબંદરની બેઠક પરથી ઊભા રાખવામાં આવ્યા છે.
સુરેન્દ્રનગરની બેઠક પર હાલના સાંસદ ડો. મહેન્દ્ર મુંજપરા તદ્દન બિનવિવાદાસ્પદ છે, એટલે તેમને રિપીટ કરવાની સંભાવના જણાય છે, પરંતુ જો કોળી સમુદાયના પ્રભુત્વને બીજી બેઠકો માટે મદદરૂૂપ થાય એ માટે જાળવવાનો મામલો આવે તો રાજ્યના હાલના મંત્રી કુંવરજી બાવળિયાની પસંદગી થવા સંભવ છે. જો તેમની પસંદગી થાય તો જસદણના ડો, ભરત બોઘરા માટે ઘણો માર્ગ મોકળો થઇ શકે એમ છે.
વળી ડો. બોઘરા હાલ મોવડી મંડળની ગૂડ બૂકમાં પણ છે. ઉપરાંત સુરેન્દ્ર નગરમાં શંકરભાઇ વેગડ જેવા માજી સાંસદ અને પીઢ નેતાનું નામ પણ પસંદ થાય તો નવાઇ નહીં. બાકી ડો. મુંજપરા તો છે જ. ને તેમને બદલવાની સીધી કોઇ જરૂૂર નથી, પણ કોળી સમુદાયને બીજી બેઠકોના સંદર્ભે વધુ ઓબ્લાઇઝ કરવા માટે તેમને બદલે કુંવરજી જેવાની પણ પસંદગી થઇ શકે છે. ઉપરાંત જો પાટીદાર ઉમેદવારના નામ પર મહોર લગાડવાની થાય તો હાલના ધારાસભ્ય પ્રકાશ વરમોરાનું નામ પણ આગળ આવી શકે છે.