નેશનલ હાઈ વે ઉપર યુધ્ધના ધોરણે ‘ખાડા બુરો’ અભિયાન
પેવર-ગ્રેડલ-રોલર-જેસીબી-ટ્રેકટર સહિતની મશીનરી સાથે રાત દિવસ તંત્ર કામે લાગ્યું
ચોમાસા ઋુતુ દરમિયાન સુરત જિલ્લામાં પડેલા ભારે વરસાદના કારણે નેશનલ હાઇવે પરના રસ્તાઓ ક્ષતિગ્રસ્ત થયા છે. સૌથી વ્યસ્ત હાઇવે ગણાતા નેશનલ હાઇવે નં.48 પર નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાની 15 ટીમો દ્વારા દિવસ-રાત મરામતની કામગીરી હાથ ધરવામાં આવી છે.
NHAIના ટેક્નિકલ મેનેજર તરૂૂણ યાદવે જણાવ્યું હતું કે, નેશનલ હાઇવે ઓથોરિટીની ટીમ દ્વારા સમગ્ર સુરત જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઇવેનું સર્વે કરી હાઈવેના પેચવર્કની કામગીરી હાથ ધરવામાં આવી છે.
સુરત જિલ્લાના પલસાણા, કડોદરા, કામરેજ, પીપોદરા, ચલથાણ અને કીમ, ધામદોડ એમ 46 કિ.મી. વિસ્તારમાં હાઈવે પસાર થાય છે, જે 268 કિ.મી થી222 કિ.મી સુધી વિસ્તરેલો છે. સાથે સૌથી વ્યસ્ત આ હાઈવેનો મહારાષ્ટ્રથી ગુજરાતમા પ્રવેશ માટે પણ મહત્તમ ઉપયોગ થાય છે. ત્યારે રોજિંદી આવન-જાવન સહિત વેપાર ધંધા માટે પણ આ હાઇવે આવશ્યક માધ્યમ છે. ગત દિવસોમાં ગુજરાતમાં ભારે વરસાદ પડતા નેશનલ હાઇવે સહિત સમગ્ર જિલ્લાના માર્ગો ઓછાવત્તા ધોરણે અસરગ્રસ્ત થયા હતા.
વધુમાં જણાવ્યું હતું કે, એક મહિના દરમિયાન ભારે વરસાદ અને વાહનોની સતત અવરજવરને કારણે પલસાણાથી ધામડોદ સુધીના રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં.-48 (જૂનો રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં.-8) ઉપરના 46 કિલોમીટરના છૂટાછવાયા વિસ્તારોમાં હાઈવેને નુકસાન થયું હતું. ત્યારે આ નુકસાનના સમારકામ માટે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) દ્વારા માર્ગોની મરામત કામગીરી હાથ ધરવામાં આવી છે.
આ કામગીરીમાં હોટ મિક્સ મટિરિયલ, ઓવરલે, કોલ્ડ મિક્સ મટિરિયલ અને પેવર બ્લોક્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સમારકામના કાર્યને ઝડપી બનાવવા 2 કમ્પ્રેસર, 2 પેવર, 3 ગ્રેડર, 6 રોલર, 4 જેસીબી, 15 ટ્રેક્ટર અને 150 શ્રમિકો સહિત કુલ 180થી વધુ સાધનો અને માનવબળ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે.
રાજકોટ-અમદાવાદ નેશનલ હાઈવે પર થીંગડા શરૂ
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વિકાસની ધોરી નસ સમાન અને રોજિંદા યાતાયાત માટે અતિ મહત્વના એવા રોડ નેટવર્કની તત્કાલ મરામત હાથ ધરાય તેવા દિશાનિર્દેશો આપ્યા છે. જેને પગલે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (N.H.A.I.) દ્વારા રાજકોટ-અમદાવાદ નેશનલ હાઈવે પર બામણબોરથી આશરે સાત કિલોમીટર દૂર આવેલા ઓવરબ્રિજ પર મરામત કામગીરી હાથ ધરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે આ કામગીરીનો હેતુ લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો, વાહનવ્યવહારને સુચારુ અને અવરોધમુક્ત રાખવાનો તથા ભવિષ્યમાં કોઈપણ અનિચ્છનીય ઘટનાને ટાળવાનો છે.