મણિપુરમાં ફરી હિંસા, 6 ઘરોને આગચંપી, સામસામા ગોળીબાર
હુમલામાં રોકેટથી ઓપરેટ થતા ગ્રોનેડ અને ડ્રોનનો ઉપયોગ
છેલ્લા સવા વર્ષથી મણિપુરમાં હિંસાની ઘટનાઓ સામે આવી રહી છે. વચ્ચે થોડા દિવસના વિરામ બાદ ફરી હિંસા ભડકી ઉઠી છે. ઉગ્રવાદીઓએ મણિપુરના ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લામાં એક ગામમાં છ ઘરોને આગ લગાવી દીધી હતી. જે બાદ સુરક્ષાદળો અને ઉગ્રવાદીઓ વચ્ચે સામસામે ભારે ગોળીબાર પણ થયો હતો. જ્યારે સ્થિતિ કાબુ બહાર જતી રહેતા રાજ્યના ડીજીપીએ વધુ કેન્દ્રીય દળોની મદદ માગી છે.
મણિપુર પોલીસે દાવો કર્યો હતો કે ઉગ્રવાદીઓએ આ હુમલા માટે રોકેટથી ઓપરેટ થતા ગ્રેનેડ અને ડ્રોનનો ઉપયોગ કર્યો હતો. સરકારે હાલ ઇમ્ફાલ વિસ્તારમાં મોટા પાયે સર્ચ ઓપરેશન ચલાવવા પોલીસને આદેશ આપ્યો છે. આ દરમિયાન રાજ્યના ડીજીપીએ કહ્યું છે કે રાજ્યની પરિસ્થિતિને કાબુ કરવા માટે માત્ર પોલીસ તંત્ર પુરતુ નથી. આ માટે કેન્દ્રીય દળોની પણ જરૂૂર પડશે. મણિપુરના ડીજીપી રાજીવ સિંઘે કહ્યું હતું કે રાજ્યની પરિસ્થિતિને કાબુ કરવા પોલીસ તમામ પ્રયાસો કરશે પરંતુ કેન્દ્રીય દળોની જરૂૂર પડશે.
હવે ઉગ્રવાદીઓ ડ્રોનનો પણ ઉપયોગ કરવા લાગ્યા છે. અમે એનએસજી સાથે પણ વાત કરી છે. સાથે જ ડ્રોન હુમલાને અટકાવવા કમિટી પણ બનાવી છે. જ્યારે મણિપુરના મુખ્યમંત્રીએ ડ્રોન હુમલાને આતંકી કૃત્ય ગણાવ્યું હતું. મુખ્યમંત્રી એન બિરેનસિંહે ટ્વીટ કરીને કહ્યું હતું કે નાગરિકો પર ડ્રોનથી બોમ્બ ફેંકવા આતંકી કૃત્ય છે.