માધાપરમાં ઔદ્યોગિક હેતુ માટે સરકારે ફાળવેલી 20 કરોડની જમીનમાં શરતભંગ, ખાલસા કરવા હુકમ
રાજકોટ તાલુકાના માધાપર ગામની સરકારી ખરાબાની જમીન (સ.નં. 111 પૈકી પ્લોટ નં. 1, 2 અને 3) પર મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. આશરે 20 કરોડથી વધુની અંદાજિત કિંમત ધરાવતી કુલ 19745-00 ચો.મી. જમીન આસીસ્ટન્ટ કલેકટર દ્વારા તાત્કાલિક અસરથી સરકાર હસ્તક લેવાનો હુકમ ફરમાવાયો છે.
આ જમીન મૂળ રૂૂપે કલેકટર, રાજકોટના તા. 15/04/1974ના હુકમથી રઘુવીર ઇન્ડસ્ટ્રીઝ નામના એકમ/ભાગીદારી પેઢીને ઔદ્યોગિક હેતુ માટે ફાળવવામાં આવી હતી. જોકે, ઇન્ડસ્ટ્રીઝ દ્વારા વર્ષ 2004થી લઈને અલગ-અલગ વર્ષોમાં કુલ 8 વખત ભાગીદારી પેઢીમાં કોઇપણ પ્રકારની સરકારી પૂર્વમંજુરી લીધા વિના ફેરફાર કરવામાં આવ્યા હતા. વહીવટી તંત્રના ધ્યાને આવ્યું કે આ ફેરફારો સ્પષ્ટપણે મૂળ હુકમની શરતોનો ભંગ કરે છે.
શરતભંગની આ ગંભીર બાબત ધ્યાને આવતા તાત્કાલિક કેસ કાર્યવાહી શરૂૂ કરવામાં આવી હતી. આસીસ્ટન્ટ કલેકટર મહક જૈન દ્વારા પક્ષકારોને કાયદા મુજબ પોતાની રજૂઆત કરવા માટે પૂરતી તક આપવામાં આવી હતી. પરંતુ, પુરાવા અને દલીલોના અંતે એ સ્પષ્ટ થયું કે પરઘુવીર ઇન્ડસ્ટ્રીઝથ દ્વારા સરકારની કોઈ પૂર્વ મંજુરી લીધા વિના ભાગીદારી પેઢીમાં ઉતરોત્તર ફેરફારો થયા છે, જે શરતભંગ સમાન છે. આથી, આસીસ્ટન્ટ કલેકટર મહક જૈને કડક નિર્ણય લઇ આ તમામ જમીન સરકારી ખરાબા તરીકે પુન: સરકાર દાખલ કરવા હુકમ ફરમાવ્યો છે.
જિલ્લા વહીવટી તંત્રના આ કડક પગલાથી સરકારી જમીનોનો નિયમો વિરુદ્ધ ઉપયોગ કરનારા અન્ય ઉદ્યોગગૃહો અને વ્યક્તિઓમાં પણ ફફડાટ ફેલાયો છે. આ હુકમ દર્શાવે છે કે, સરકારી જમીનની ફાળવણીમાં કોઈપણ પ્રકારનો શરતભંગ ચલાવી લેવાશે નહીં અને નિયમોનું ઉલ્લંઘન કરનારા સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.