સહરદી જિલ્લામાં યુદ્ધ જેવી પરિસ્થિતિ વચ્ચે વીજ ઉપકરણો પર વેલાઓનું સામ્રાજય
ભારત અને પાકિસ્તાન વચ્ચે હાલમાં પ્રવર્તી રહેલી તંગદિલીપૂર્ણ પરિસ્થિતિના ગંભીર માહોલમાં જ્યારે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા ખાસ કરીને પાકિસ્તાનની સરહદને અડીને આવેલા જામનગર અને દેવભૂમિ દ્વારકા જેવા સંવેદનશીલ જિલ્લાઓમાં નાગરિકોની સલામતી, સુરક્ષા અને સંભવિત આપાતકાલીન સ્થિતિને પહોંચી વળવા માટે સર્વોત્તમ અને તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે, અને મુખ્યમંત્રી દ્વારા પણ તાજેતરમાં જ આપાતકાલિન સ્થિતિમાં સંપર્ક જળવાઈ રહે તે માટે હોટલાઈન, સેટેલાઈટ ફોન જેવા દૂરસંચારના વૈકલ્પિક માધ્યમોની ચકાસણી કરવાની તાકીદ કરવામાં આવી હતી.
તેમજ સરહદી ગામોમાં ઇવેક્યુએશન પ્લાન કાર્યરત કરવા ઉપરાંત ખોરાક, પાણી અને અન્ય આવશ્યક સંસાધનોની પૂરતી વ્યવસ્થા સુનિશ્ચિત કરવા સૂચનો અપાયા હતા, સાથે સાથે જો યુદ્ધ જેવી પરિસ્થિતિ સર્જાય તો રાત્રિના સમયે અંધારપટ રાખવાનો નિયમ હોવા છતાં વીજ પુરવઠો જેવી આવશ્યક સેવાઓ કોઈપણ ભોગે ખોરવાય નહીં તેની તકેદારી રાખવાની પણ અતિ આવશ્યકતા છે, ત્યારે દુર્ભાગ્યવશ પશ્ચિમ ગુજરાત વીજ કંપનીના જામનગર સર્કલ હેઠળ આવતું નગરસીમ સબ ડિવિઝનનું તંત્ર જાણે કુંભકર્ણની ગાઢ નિંદ્રામાં હોય તેવી ગંભીર બેદરકારી સામે આવી રહી છે.
નગરસીમ સબ ડિવિઝન વિસ્તારમાં ઠેર ઠેર વીજપોલ અને વીજ ટ્રાન્સફોર્મર પર વેલાઓનું ગાઢ આવરણ જોવા મળી રહ્યું છે, જે સ્પષ્ટપણે દર્શાવે છે કે છેલ્લા એક વર્ષથી આ સબ ડિવિઝનમાં મેન્ટેનન્સ અને લાઈન ક્લિયરન્સની કામગીરી માત્ર કાગળ પર જ ચાલી રહી છે અને વાસ્તવિકતામાં કોઈ ધ્યાન આપવામાં આવતું નથી; રૂૂટિન કામગીરીમાં જ આટલી હદે નઘરોળ અને બેદરકાર રહેતું વીજ તંત્ર ભારત-પાકિસ્તાન વચ્ચે સર્જાયેલી સંભવિત યુદ્ધ જેવી આપાતકાલીન સ્થિતિમાં વીજ પુરવઠો જાળવી રાખવા અને આવશ્યક સેવા પૂરી પાડવામાં કેટલું સક્ષમ હશે તે એક મોટો પ્રશ્નાર્થ સર્જી રહ્યું છે અને આ ગંભીર બેદરકારી સરહદી જિલ્લાઓની સુરક્ષા અને નાગરિકોની સલામતી માટે ચિંતાનો વિષય છે, જેના પર તાત્કાલિક ધ્યાન આપીને વીજ તંત્રએ કુંભકર્ણની નિંદ્રામાંથી જાગીને મેન્ટેનન્સની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવી અનિવાર્ય છે.