ભાજપ સરકારથી નારાજ વિક્રમ ઠાકોરને કેજરીવાલના ગલગલીયા
ગુજરાત વિધાનસભામાં તાજેતરમાં અમુક કલાકારોને રાજ્ય સરકારે મુલાકાત માટે બોલાવ્યા હતા. જેમાં વિક્રમ ઠાકોરને આમંત્રણ આપવામાં ન આવતા તે નારાજ થયા હતા. ત્યારબાદ રાજ્ય સરકારે વિવિધ ફિલ્મ કલાકારોને વિધાનસભા માટે આમંત્રણ આપ્યું હતું. જેમાં કેટલાક કલાકારોએ વિધાનસભાની મુલાકાત લીધી હતી પરંતુ વિક્રમ ઠાકોર પહોંચ્યા નહીં. હવે મોટા સમાચાર સામે આવ્યા છે કે ફિલ્મ અભિનેતા વિક્રમ ઠાકોરનો સંપર્ક અરવિંદ કેજરીવાલે કર્યો છે.
મળતી માહિતી પ્રમાણે અભિનેતા વિક્રમ ઠાકોર સાથે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વાત કરી છે. કેજરીવાલે વિક્રમ ઠાકોરને દિલ્હી આવવા માટે આમંત્રણ આપ્યું છે. ગુજરાતના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ અરવિંદ કેજરીવાલની વાતચીત વિક્રમ ઠાકોર સાથે કરાવી છે. હવે જોવાનું રહેશે કે વિક્રમ ઠાકોર અરવિંદ કેજરીવાલને મળવા માટે દિલ્હી જાય છે કે નહીં.
વિક્રમ ઠાકોરે જણાવ્યુ કે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી સાથે મારે વાત થઈ છે. તેમણે મારા અંતરખબર પૂછ્યા હતા. સાથે દિલ્હી જવાનું થાય તો મળવા માટે આમંત્રણ આપ્યું છે. વિક્રમ ઠાકોરે કહ્યુ કે કલાકાર હોવાને કારણે ઘણા નેતાઓના ફોન આવતા હોય છે. હાલ મારો ઈરાદો કોઈ પાર્ટી સાથે જોડાવાનો નથી.
વિક્રમ ઠાકોરે સ્પષ્ટ કર્યું છે કે, સરકાર તરફથી તેમને આમંત્રણ મળ્યું છે પણ કેટલાક કારણોસર તેઓ જવાના નથી. અનેક દિગ્ગજ કલાકારો 26 માર્ચે વિધાનસભાની મુલાકાત લીધી હતી, પરંતુ સરકારના આમંત્રણ છતાં વિક્રમ ઠાકોર પહોંચ્યા નહોતા. થોડા દિવસો પહેલાં ક્ષત્રિય ઠાકોર સમાજે સરકાર વિરુદ્ધ નારાજગી વ્યક્ત કરી હતી.
-