ધો.3થી 8ના 40 લાખ બાળકોના અભ્યાસની ચકાસણીનો પ્રારંભ
શિક્ષણનું સ્તર સુધારવા સરકારનું મિશન, તમામ સ્કૂલોમાં વાંચન-લેખન અને ગણનની કામગીરીનું થશે મોનિટરિંગ
14 નવેમ્બર સુધી ટુકડીઓ ફરશે, અધિકારીઓ-કર્મચારીઓ દ્વારા ઓચિંતી મુલાકાત પણ લેવાશે
ગુજરાતની સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા ધો.3 થી 8ના બાળકો વાંચન, લેખન અને ગણનમાં પાછળ ન રહે તે માટે સરકાર દ્વારા ધો.3 થી 8ના 40 લાખથી વધુ બાળકોના અભ્યાસની ચકાસણીને મિશન મોડમાં શરૂૂ કરવાનો નિર્ણય કર્યો છે. જે અંતર્ગત 6 નવેમ્બરથી રાજ્યની તમામ સ્કૂલોમાં સીઆરસી, બીઆરસી તેમજ ટીપીઈઓ તેમજ ડાયેટ કોલેજોના લેક્ચરર્સ વર્ગખંડોમાં મુલાકાત લેશે અને વાંચન-લેખન અને ગણનની કામગીરીનું મોનિટરિંગ કરશે. એક અઠવાડિયા દરમિયાન ડીપીઈઓ-પ્રાથમિક શિક્ષણના અધિકારીઓ સ્કૂલોમાં મુલાકાત લેવા જશે.
સરકારી પ્રાથમિક સ્કૂલોમાં ભણતા બાળકોમાં અનેક બાળકોને હજુ પણ વાંચતા, લખતા કે ધો.3 સુધીના દાખલા ગણતા પણ નથી આવડતું. જેના કારણે પ્રાથમિક શિક્ષણમાં હજુ પણ રાજ્ય કેટલાક રાજ્યોથી પાછળ છે ત્યારે રાજ્ય સરકારે હવે ધો.3 થી 8ના સરકારી-ગ્રાન્ટેડ સ્કૂલોના બાળકોના અભ્યાસની ચકાસણીને મિશન મોડમાં શરૂૂ કરવાનું નક્કી કર્યું કર્યું છે. જે અંતર્ગત જીસીઈઆરટી દ્વારા તમામ જિલ્લાના પ્રાથમિક શિક્ષણાધિકારીઓ તેમજ વિવિધ શહેરોની કોર્પોરેશન સ્કૂલોના શાસનાધિકારીઓ અને રાજ્યની તમામ જિલ્લા શિક્ષણ-તાલીમ ભવન-ડાયેટ કોલેજોને પરિપત્ર મોકલીને ધો. 3 થી 8માં બાળકોના વાંચન, લેખન અને ગણન સુધારણા માટેની કામગીરી મિશન મોડમાં શરૂૂ કરવા આદેશ કર્યો છે. સરકારે 6 નવેમ્બરથી 14 નવેમ્બર સુધી એક સપ્તાહ માટે તમામ સ્કૂલોમાં ધો.3 થી 8માં મોનિટરિંગ માટેનો આદેશ આપ્યો છે.
ધો.3 થી 8ના તમામ શિક્ષકોએ પોતાના ધોરણ અને વિષય અનુરૂૂપ કામગીરી મિશન મોડમાં કરવાની રહેશે.
આ અભિયાન અંતર્ગત શાળાના નિયત સમયપત્રક મુજબ જે તે વર્ગશિક્ષક દ્વારા જે તે ધોરણ-વિષય અંતર્ગત મુખ વાંચન, વાચન અર્થગ્રહણ તેમજ સ્વતંત્ર લેખન અને ગણનની કામગીરી કરવાની રહેશે. આ સમયગાળા દરમિયાન બાલવાટિકા અને ધો. 1 થી 2માં સમગ્ર શિક્ષા દ્વારા અપાયેલ સૂચના મુજબ નિપુણ પખવાડીયાના કામગીરી કરવાની રહેશે. ધો.3 થી 8માં દરેક વિદ્યાર્થી પાસે વાચન, લેખન અને ગણન અંતર્ગત એક અલગ નોટબુક નિભાવવાની રહેશે. આ સમયગાળા દરમિયાન તમામ સીઆરસી-બીઆરસી કોઓર્ડિનેટરો તેમજ બ્લોક રિસોર્સ પર્સન, કેળવણી નિરિક્ષકો, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી તેમજ ડાયેટ લેક્ચરર્સ દ્વારા નિયમિત રીતે સ્કૂલ અને વર્ગખંડની મુલાકાત લઈને વર્ગોમાં થઈ રહેલ વાંચન-લેખન અને ગણનની કામગીરીની મૂલ્યાંકન તેમજ મોનિટરિંગ કરવાનું રહેશે.
દરેક સીઆરસીએ વર્ગખંડ અવલોકન કરવાનું રહેશે. રાજ્ય કક્ષાએ પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી તેમજ સમગ્ર શિક્ષા અને જીસીઈઆરટીના અધિકારીઓ તેમજ કર્મચારીઓ દ્વારા પણ સ્કૂલોમાં ઓચિંતી મુલાકાત લેવાશે. વર્ગ શિક્ષકોએ બાળકો અપેક્ષિત સ્તર સુધી ન પહોંચી શકયા હોય તો તેવા બાળકોની ઓળખ કરવાની રહેશે અને 14 નવેમ્બર બાદ પણ સતત આ બાળકો પર વિશેષ ધ્યાન આપવાનું રહેશે. જ્યારે આગામી ફેબ્રુઆરીમાં ધો. 3 થી 8ના તમામ બાળકોનું વાંચન-લેખન-ગણનનું બાહ્ય મૂલ્યાંકન કરાશે.
બાળકોને વાંચતા-લખતા ન આવડે તો જવાબદારી નક્કી થશે
ફેબ્રુઆરી-2026 દરમિયાન તમામ સરકારી-ગ્રાન્ટેડ સ્કૂલોમાં ધો. 3 થી 8ના બાળકોનું બાહ્ય મૂલ્યાંકન કરાશે. જે દરમિયાન બાળકો પોતાના ધોરણ મુજબના અપેક્ષિત સ્તરનું વાંચન, લેખન અને ગણનનું કાર્ય ન કરી શકે તેમ હોય એટલે કે તેમને પૂરતુ વાંચતા-લખતા ન આવડતુ હોય તો સંબંધિતોની જવાબદારી નક્કી કરવામા આવશે. જીસીઆરટીઈ દ્વારા કરાયેલા પરિપત્રમાં આ રીતે ગર્ભીત ચીમકી આપીને આ બાબતની ગંભીર નોંધ લેવા સૂચના અપાઈ છે. પરંતુ કોને જવાબદાર ઠેરવાશે, વર્ગશિક્ષક, આચાર્ય, ટીપીઈઓ,ડીપીઈઓ કે સરકારના શિક્ષણના ઉચ્ચ અધિકારીઓને? આ વિશે કોઈ માહિતી આપવામાં આવી નથી.
