સ્વ.વિજયભાઇની અંતિમયાત્રાના રૂટ ઉપર વાહનોને પ્રવેશ બંધી
ગ્રીનલેન્ડ ચોકડીથી નિવાસ સ્થાન અને રામનાથપરા સ્મશાન ગૃહ સુધીના રૂટ ઉપર પાર્કિંગની મનાઇ
રાજકોટ શહેરમાં પૂર્વ મુખ્યમંત્રી સ્વ. વિજયભાઈ રૂૂપાણીની અંતિમ યાત્રા આજે સાંજે 5 વાગ્યે નીકળવાની છે. જે અન્વયે બપોરે 2.30 થી 4.00 વાગ્યા દરમ્યાન સ્વ. વિજયભાઈ રૂૂપાણીનો પાર્થિવ દેહને ગ્રીનલેન્ડ ચોકડીથી તેમના નિવાસસ્થાન સુધી લઈ જવામાં આવશે. આ તમામ માર્ગો પર અંતિમ યાત્રાના એક કલાક પહેલા વાહનો માટે પ્રવેશબંધી તથા નો પાર્કિંગ જાહેર કરવામાં આવ્યા છે.
રાજકોટ શહેર ઈન્ચાર્જ પોલીસ કમિશનર મહેન્દ્ર બગડીયાએ આ અંગે જણાવ્યું હતુ કે, પૂર્વ મુખ્યમંત્રી સ્વ. વિજયભાઈ રૂૂપાણીનો મૃતદેહ અમદાવાદથી એમ્બ્યુલન્સ દ્વારા ગ્રીનલેન્ડ ચોકડી સુધી લાવવામાં આવશે. ત્યાંથી ખાસ તૈયાર કરવામાં આવેલી શબવાહિનીમાં અંતિમયાત્રા નીકળશે. જે ગ્રીનલેન્ડ ચોકડીથી કુવાડવા રોડ ડી માર્ટ, રણછોડદાસ આશ્રમ, ડીલક્ષ ચોક, પારેવડી ચોક, કેસરી હિન્દ પુલ, બેડીનાકા જતા હોસ્પિટલ ચોક ઓવર બ્રિજ પર, અરવિંદભાઈ મણિયાર હોલ, ચૌધરી હાઇસ્કુલ ચોક, ધરમ સિનેમા, આર વર્લ્ડ, બહુમાળી ભવન ચોક, જિલ્લા પંચાયત ચોક, કિસાનપરા ચોક, આમ્રપાલી અંડરબ્રિજ રેસકોર્સ, રૈયા રોડ, આઝાદ ચોક, નરેન્દ્ર પારેખ માર્ગ, હનુમાન મઢી ચોક, નિર્મલા રોડ, નાગનાથ મહાદેવ મંદિરથી પ્રકાશ સોસાયટી, પુજીત મકાન સુધી પસાર થશે. આથી આ રોડ ઉપર તમામ પ્રકારના વાહનો માટે પ્રવેશ બંધી અને નો-પાર્કિંગ (અંતિમ યાત્રા સાથે જોડાયેલા અને સરકારી વાહનો સિવાય) જાહેર કરવામાં આવે છે.
અંતિમ યાત્રાના સમય દરમિયાન આ રૂૂટ ઉપર બન્ને બાજુની શેરીમાંથી કોઇ પણ પ્રકારના વાહનોના ચાલકો અંતિમ યાત્રાને ક્રોસ કરી શકશે નહીં. 16 જૂને સાંજે 4.00થી 5.00 વાગ્યા દરમિયાન સ્વ.વિજયભાઈના નિવાસસ્થાને તેમના અંતિમ દર્શન કરી શકાશે. ત્યાર બાદ સાંજે 5.00 વાગ્યે સ્વ.વિજયભાઈની અંતિમયાત્રા પુજીત મકાનથી નીકળી.
અંતિમ દર્શન અને અંતિમ યાત્રા સમય માટે નિયત કરાયેલી પાર્કિંગ વ્યવસ્થા
રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી સ્વ. વિજયભાઈ રૂૂપાણીના પાર્થિવ દેહને અંતિમ દર્શન તથા અંતિમ સંસ્કાર માટે રાખવામાં આવનાર છે, ત્યારે શહેર ટ્રાફિક વ્યવસ્થાને સુવ્યવસ્થિત જાળવવા રાજકોટ શહેર પોલીસ દ્વારા ખાસ પાર્કિંગ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ અંગે નાયબ પોલીસ કમિશનર-ટ્રાફિક પૂજા યાદવ દ્વારા એક યાદીમાં અપીલ કરવામાં આવી છે કે, આમ જનતાએ પાર્કિગ માટે નિયત કરાયેલી વ્યવસ્થામાં જ વાહનો પાર્ક કરવા. પાર્કિંગ માટે વી.વી.આઈ.પી.ઓ માટે કે.કે. શેઠ ફિઝિયોથેરાપી કોલેજના પાછળના ભાગે ઓમકાર એપાર્ટમેન્ટની સામેથી બાજુ પાર્કિંગ માટે તિરુપતિનગર શેરી નં.1ના ગેટથી પ્રવેશ કરવો, પાર્કિંગ-2:નિર્મલા સ્કૂલની અંદરના ભાગે, પાર્કિંગ-3: સોજીત્રાનગરમાં આવેલા પાણીના ટાંકાના પાછળના ભાગે ખુલ્લા પ્લોટમાં, પાર્કિંગ-4 વિરબાઈ મહિલા કોલેજ નિર્મલા રોડ ફાયર બ્રિગેડની સામે કોલેજના પાછળના ભાગે પાર્કિંગ.
અંતિમયાત્રાનો રૂટ
(1) પ્રકાશ સોસાયટી (નિવાસ સ્થાન)
(2) નિર્મલા કોન્વેન્ટ રોડ
(3) કોટેચા ચોક, કાલાવડ રોડ
(4) મહિલા કોલેજ ચોક
(5) એસ્ટ્રોન ચોક
(6) સરદારનગર મેઇન રોડ
(7) યાજ્ઞીક રોડ
(8) માલવિયા ચોક
(9) ત્રિકોણબાગ ચોક
(10) કોર્પોરેશન ચોક
(11) બાલાજી મંદિર ચોક
(12) રાજશ્રી ટોકીઝ રોડ
(13) સ્વામીનારાયણ મંદિર, ભુપેન્દ્ર રોડ થઈ
(14) રામનાથ પરા સ્મશાન પહોંચશે